25 January, 2022 10:48 AM IST | New Delhi | Agency
હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી હિમવર્ષા થઈ રહી છે.
સમગ્ર દેશમાં ઠંડીએ પોતાનો ચમકારો બતાવ્યો છે. હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી હિમવર્ષા થઈ રહી છે. પરિણામે શિમલાની એક હોટેલની બહાર પાર્ક કરેલી કાર પર પણ બરફ પડ્યો હતો.
જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ભારતીય યાત્રાળુઓ હવાઈ માર્ગે પાકિસ્તાન પહોંચ્યા બાદ પાકિસ્તાની યાત્રાળુઓ પણ ૭૫ વર્ષમાં પ્રથમ વાર પાકિસ્તાન ઇન્ટરનૅશનલ ઍરલાઇન્સની સ્પેશ્યલ ફ્લાઇટથી ૨૯ જાન્યુઆરીએ ભારત આવવા રવાના થશે. અત્યાર સુધી યાત્રાળુઓ પગપાળા કે સમજૌતા એક્સપ્રેસ દ્વારા એકબીજાના દેશમાં આવજા કરતા હતા. મેમ્બર નૅશનલ ઍસેમ્બલી અને પાકિસ્તાન હિન્દુ પરિષદના અધ્યક્ષ રમેશ કુમારે જણાવ્યાનુસાર બંને પાડોશી દેશો વચ્ચે ધાર્મિક પ્રવાસને પ્રોત્સાહન આપવાના હેતુથી પીઆઇએ અને ઍરઇન્ડિયા વચ્ચે થયેલા આ કરાર મુજબ બંને ઍરલાઇન્સ વિશેષ પ્લેન ઉડાવશે.
હમાસ પેલેસ્ટીનની લશ્કરી પાંખ છે, જેને ઇઝરાયલે આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. વૉલેટમાંથી ચોરી કરવામાં આવેલ બીટકૉઇન અને અન્ય ક્રિપ્ટોકરન્સી હમાસની આ જ લશ્કરી વિંગ અલ કાસમ બ્રિગેટ્સના વૉલેટમાં ટ્રાન્સફર કરાઈ છે. પેલેસ્ટીનમાં પોતાનું અભિયાન ચાલુ રાખવા તેમ જ અન્ય કાર્યો માટે ચોરીની તેમ જ દાનમાં મળેલી ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરવા માટે હમાસ વિશ્વભરમાં બદનામ છે. દિલ્હી પોલીસની તપાસમાં જણાયું હતું કે પછીથી તેના વૉલેટમાંથી તમામ ક્રિપ્ટોકરન્સી ઇજિપ્તના અહમદ મરજૂક અને પેલેસ્ટીનના અહમદ ક્યુ એચ સાફરીના વૉલેટમાં ટ્રાન્સફર કરાઈ હતી. આ કેસ વર્ષ ૨૦૧૯નો છે, જ્યારે દિલ્હીના પશ્ચિમી વિહાર વિસ્તારમાં રહેતા એક વેપારીના ક્રિપ્ટો વૉલેટમાંથી ૬.૨ બીટકૉઇન, ૯.૭૨ એથેરિયમ અને ૨.૪૪ બીટકૉઇન કૅશ ચોરી થયાં હતાં.
ફ્રાન્સમાં કોવિડ-19ના સંક્રમણ સામે રસી ન લેનારાઓને રેસ્ટોરાં, બાર, પ્રવાસ-સ્થળો અને ખેલકૂદનાં સ્થળોએ પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. સરકારની વાઇરસ વિરોધી નીતિને પગલે જાહેર કરાયેલો આ નવો કાયદો ગઈ કાલથી અમલી બન્યો છે, જેને પગલે જનતાએ પ્રવેશ માટે વૅક્સિન પાસ મેળવવો આવશ્યક રહેશે.
ફ્રાન્સમાં કોરોના વાઇરસના સંક્રમણના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે તથા હૉસ્પિટલના બેડ પણ ભરાઈ રહ્યા છે. જોકે આઇઈસીયુમાં પેશન્ટ્સની સંખ્યા પ્રતિદિન ઘટી રહી છે.
ઓમાઇક્રોન વાઇરસનો પ્રસાર વધતાં સરકારે કેટલાક નવા પ્રતિબંધ લાગુ કર્યા છે, જેમાં ફ્રાન્સની સંસદ અને બંધારણીય પરિષદ દ્વારા વૅક્સિન પાસને અનિવાર્ય બનાવાયો હતો.
કોરોના વાઇરસના ડેલ્ટા વેરિઅન્ટની તુલનાએ ઓમાઇક્રોનના સંક્રમણથી ગંભીર બીમારીનું પ્રમાણ ઓછું રહ્યું છે. કોરોના વાઇરસના અન્ય સ્ટ્રેનની તુલનાએ ઓમાઇક્રોન વધુ ઝડપથી પ્રસરી રહ્યો છે તથા અનેક દેશોમાં એ વધુ પ્રભાવશાળી બન્યો છે. આ વાઇરસનું સંક્રમણ વૅક્સિનેટેડ લોકોને તેમ જ અગાઉ જેમને સંક્રમણ લાગી ચૂક્યું છે તેમને વધુ જલદી લાગે છે.
ક્રિટિક્સના મતે ફ્રાન્સના ૯૪ ટકા પુખ્ત નાગરિકોએ હજી સુધી વૅક્સિનનો માત્ર એક જ ડોઝ લીધો છે, એવામાં વૅક્સિન પાસ વિશેષ અસર દાખવી શકશે કે કેમ એ મૂળ પ્રશ્ન છે.
શ્રીનગર અને કાશ્મીરના અન્ય જિલ્લા મુખ્ય મથકોમાં પ્રજાસત્તાક દિનની શાંતિપૂર્વક ઉજવણી સુનિશ્ચિત કરવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવતા કાશ્મીરના આઇજીપી વિજય કુમારે કહ્યું હતું કેશ્રીનગરમાં અને જિલ્લા મુખ્ય મથકોમાં ક્ષેત્ર પ્રભુત્વ અને ડ્રોન વડે દેખરેખ રાખવા માટે પોલીસ, સીઆરપીએફ અને લશ્કરના જવાનો છેલ્લા એક અઠવાડિયાથી સુરક્ષા ડ્રીલ યોજી રહ્યા છે. શ્રીનગરમાં મુખ્ય પરેડના સ્થળની આસપાસના તમામ હાઈરાઇઝ બાંધકામો પર સુરક્ષા દળોના શાર્પશૂટર્સ ગોઠવી દેવાયા છે.
સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ (સીએએ) અને નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન (એનઆરસી)ના વિરોધમાં વર્ષ ૨૦૧૯માં કરવામાં આવેલા વિરોધ-પ્રદર્શનમાં કથિત રીતે ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ દિલ્હી સુપ્રીમ કોર્ટે ગઈ કાલે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)ના સ્ટુડન્ટ શરજિલ ઇમામ સામે ગેરકાયદે પ્રવૃત્તિઓ માટેની સજાની કલમ ૧૩ હેઠળ દેશદ્રોહનો આરોપ મૂક્યો છે. શરજિલ ઇમામે આસામ અને બાકીના નૉર્થ ઈસ્ટ પ્રદેશોને ભારતથી છૂટું પાડવાની ધમકી આપી હતી.
શિકાર વિરોધી અભિયાન પર અંકુશ લગાવવા માટે કાઝીરંગા નૅશનલ પાર્કમાં કમાન્ડો તહેનાત કરવામાં આવશે. વિશેષ પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) તથા અસમ ગેંડા સંરક્ષણ ટાસ્ક ફોર્સના ચૅરમૅને આ વિશેની જાણકારી આપી હતી. આ સાથે જ તાજેતરમાં જ્યાં ગેંડાનો શિકાર થયો હતો એ સ્થળની પણ મુલાકાત લેવામાં આવશે. તાજેતરમાં જ નૅશનલ પાર્કમાં એક માદા ગેંડાની લાશ મળી હતી. એનો શિકાર કરવામાં આવ્યો હોવાની આશંકા છે, કારણ કે એનું શિંગડું ગાયબ હતું.