News In Short : પાણી લોકોની આંખોમાં પાણી લાવ્યું 

20 November, 2021 04:47 PM IST  |  New Delhi | Agency

પુડ્ડુચેરીમાં ગઈ કાલે ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ​ સર્જાતાં લોકોની હાલાકી વધી ગઈ હતી.

અહીં બચાવ કાર્યકરોએ લોકોને પૂરગ્રસ્ત વિસ્તારમાંથી બચાવ્યા હતા.

પુડ્ડુચેરીમાં ગઈ કાલે ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ​ સર્જાતાં લોકોની હાલાકી વધી ગઈ હતી. અહીં બચાવ કાર્યકરોએ લોકોને પૂરગ્રસ્ત વિસ્તારમાંથી બચાવ્યા હતા.

ચીને જપાની દરિયામાં જહાજ મોકલ્યાં

જપાનના વિવાદિત સેન્કાકુ ટાપુ પાસે જપાનની સરહદના દરિયામાં ચીને ચાર જહાજો મોકલ્યાં છે. જપાનના મીડિયાના અહેવાલો પ્રમાણે આ વર્ષે ચીને ૩૭મી વાર જપાનની સરહદમાં આવતા દરિયામાં ઘૂસણખોરી કરી છે. સેન્કાકુ ટાપુઓનો વહીવટ જપાનને હસ્તક છે પણ ચીન એ પોતાના હોવાનો દાવો કરી રહ્યું છે. જપાને ૧૮૯૫થી આ વિસ્તારો પોતાના હોવાનો દાવો કર્યો છે તો ચીને ૧૭૮૩ અને ૧૭૮૫ના નકશાઓમાં આ ટાપુઓ ચીનના સામ્રાજ્યનો હિસ્સો હોવાનું બતાવી પોતાની માલિકીનો દાવો કર્યો છે. જપાનના વિદેશપ્રધાને ચીનની હરકત સામે ચિંતા વ્યક્ત કરી હતી.

જયશંકર સિંગાપોરના પ્રધાનોને મળ્યા

શુક્રવારે ભારતના વિદેશી બાબતોના પ્રધાન એસ. જયશંકર સિંગાપોરના સ્વાસ્થ્ય અને નાણાપ્રધાનને મળ્યા હતા. બન્ને વચ્ચે પારસ્પરિક સંબંધોના વિકાસ વિશે અને સ્વાસ્થ્ય સુરક્ષા માટેનાં પગલાંઓ વિશે ચર્ચા થઈ હતી. બુધવારથી જયશંકર સિંગાપોરની ત્રણ દિવસની મુલાકાતે ગયા હતા. જયશંકરે ટ્વીટ કરીને આ મુલાકાતો વિશે માહિતી આપી હતી. અહીં તેમણે બ્લૂમબર્ગ ન્યુ ઇકૉનૉમિક ફોરમમાં વક્તવ્ય પણ આપ્યું હતું. ગઈ કાલે જયશંકર સિંગાપોરના રક્ષાપ્રધાન અને વિદેશપ્રધાન સહિત અન્ય સિનિયર પ્રધાનોને પણ મળ્યા હતા.

તામિલનાડુ-આંધ્રમાં ભારે વરસાદથી ૧૨નાં મૃત્યુ

તામિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદને લીધે તબાહી સર્જાઈ છે. તામિલનાડુના વેલ્લોર જિલ્લામાં ભારે વરસાદને પગલે મકાનો પડી જતાં ચાર બાળકો સહિત નવ લોકોનાં મૃત્યુ થયાં હતાં. મુખ્ય પ્રધાને મૃતકના પરિવારોને પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. ભારે વરસાદને કારણે ચેન્નઈમાં પણ પૂરની સ્થિતિ સર્જાયેલી છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાત ગઈ કાલે સવારે તામિલનાડુ અને આંધ્ર પ્રદેશના કિનારે ટકરાયું હતું. આંધ્ર પ્રદેશમાં ગઈ કાલે કડપા જિલ્લામાં ભારે વરસાદને લીધે ત્રણનાં મૃત્યુ અને ત્રીસ લોકો ગુમ થયા હોવાનું નોંધાયું છે. નદી અને ડૅમ છલકાઈ જતાં ઘણાં ગામોમાં પૂરનાં પાણી ફરી વળ્યાં હતાં. રાહત કામગીરી ચાલી રહી છે.

ત્રિપુરામાં બીજેપી-ટીએમસી વચ્ચેની અથડામણમાં ૧૯ જણ ઈજાગ્રસ્ત

ત્રિપુરાના ખોવાઈ જિલ્લામાં તેલિયામુરામાં બીજેપી અને ટીએમસીના સમર્થકો વચ્ચે અથડામણ થતાં લગભગ ૧૯ જણ ઈજા પામ્યા હતા, જેના પગલે એ વિસ્તારમાં સીઆરપીસીની કલમ ૧૪૪ હેઠળ પ્રતિબંધાત્મક આદેશ લાગુ કરવામાં આવ્યા હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું. 
રાજ્યમાં સુધરાઈની ચૂંટણી પૂર્વે થયેલા આ ટકરાવમાં ઘાયલ થનારાઓમાં ૧૯ વ્યક્તિમાં બે પોલીસ-કર્મચારીઓ છે એમ જણાવતાં સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ મોહમ્મદ સજ્જાદ પીએ કહ્યું  હતું કે આ ઘટનાને પગલે વહીવટી તંત્રએ એ વિસ્તારમાં શાંતિ જાળવવા તેલિયામુરા મ્યુનિસિપલ કાઉન્સિલના ૧૩, ૧૪ અને ૧૫ નંબરના વૉર્ડમાં પ્રતિબંધાત્મક આદેશ લાગુ કરવાની ફરજ પડી હતી,

આ આદેશ ૨૪ નવેમ્બર સુધી લાગુ રહેશે.  

અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ (કાયદો અને વ્યવસ્થા) સુબ્રતા ચક્રબર્તીએ જણાવ્યું હતું કે બુધવારે સવારે ૯.૩૦ વાગ્યે ટીએમસીના કાર્યકરો કાલિયા ટીલા વિસ્તારમાં પ્રદર્શન કરી રહ્યા હતા અને તેઓ બીજેપીની ઑફિસ પાસે પહોંચ્યા બાદ બન્ને પાર્ટીના સમર્થકો સામસામે આવતાં ટીએમસીના કાર્યકરોએ બીજેપીના કાર્યકરો પર હુમલો કર્યો હતો, જેનો બીજેપીના સમર્થકોએ જવાબ વાળતાં સમસ્યાની શરૂઆત થઈ હતી. 

ગોમતીનગરમાં ટેરેસ-બાલ્કનીમાં કપડાં સૂકવવા પર બૅન મુકાયો

ઉત્તર પ્રદેશ પોલીસે લખનઉના ગોમતીનગર એક્સટેન્શન એરિયામાં લોકો માટે ટેરેસ અને બાલ્કનીમાં કપડાં સૂકવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ એરિયામાં હાઈરાઇઝ બિલ્ડિંગ્ઝમાં રહેતા લોકોને આજે અને આવતી કાલે તેમનાં કપડાં સૂકવવા નહીં મળે. જેનું કારણ એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલ સુધી અહીં રોકાવાના છે. રાજ્યના ઇન્ટેલિજન્સ યુનિટ્સ અને પીએમઓના સિક્યૉરિટી ઑફિસર્સે આ નિર્ણય લીધો છે. વડા પ્રધાન આજે યોજાનારી ઑલ ઇન્ડિયા ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ કૉન્ફરન્સ મીટમાં ભાગ લેવા માટે લખનઉ પહોંચ્યા છે. 

કાયદાઓનો લાભ ખેડૂતોને સમજાવવામાં નિષ્ફળ રહ્યા : તોમર

કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કૃષિ કાયદાઓને પાછા ખેંચી લેવાયા બાદ કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હેતુ ખેડૂતોના જીવનમાં ક્રાંતિકારી બદલાવ લાવવાનો હતો. ખેડૂતોને આ કાયદાઓથી લાભ થઈ શક્યો હોત. જોકે મને દુઃખ છે કે અમે કેન્દ્રીય કૃષિ કાયદાઓનો લાભ દેશના કેટલાક ખેડૂતોને સમજાવવામાં નિષ્ફળ રહ્યા છીએ.’

કાયદા પાછા ખેંચાશે, પણ આંદોલન નહીં

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે ગઈ કાલે જણાવ્યું હતું કે ત્રણ વિવાદાસ્પદ કાયદાઓને સંસદમાં રદ કરવામાં આવશે અને ખેતપેદાશો માટે લઘુતમ ટેકાના ભાવ માટે કાયદાકીય ગૅરન્ટી મળશે તો જ કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલા આંદોલનને પાછું ખેંચી લેવામાં આવશે. આ નેતાએ તેમના સપોર્ટર્સને ઉજવણી ના કરવાનું જણાવીને કહ્યું હતું કે તેમનો સંઘર્ષ ચાલુ જ રહેશે.

national news