14 June, 2021 02:40 PM IST | New Delhi | Alpa Nirmal
સચિન પાઇલટ
ગેહલોત-પાઇલટની વચ્ચે સત્તાસંઘર્ષને લઈને ચાલી રહેલા ઘમાસાણની વચ્ચે નેતાઓની દિલ્હી દોડ ચાલી રહી છે. ભૂતપૂર્વ ઉપ-મુખ્ય પ્રધાન સચિન પાઇલટ, પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરા, મહેસૂલ પ્રધાન હરેશ ચૌધરી રાજધાનીમાં છે, જેથી હાઈ કમાન્ડની સમક્ષ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી શકે. પ્રિયંકા વાડ્રા શિમલામાં હોવાથી શનિવારે પાઇલટની તેમની સાથે મુલાકાત ન થઈ શકી. આ દરમિયાન સમાધાન ફૉર્મ્યુલામાં પાઇલટને પાર્ટી મહાસચિવ બનવાની ઑફર હાઈ કમાન્ડે આપી હતી, જેને તેમણે ઠુકરાવી દીધી છે. નારાજગીને દૂર કરવા માટે અઢી વર્ષમાં પહેલી વાર આ મહિને મંત્રીમંડળ વિસ્તરણના સંકેત મળ્યા છે. અત્યારે સીએમ ગેહલોત ઉપરાંત ૧૦ કૅબિનેટ અને ૧૦ રાજ્યમંત્રી છે.
ગેહલોત કુલ ૩૦ મંત્રી બનાવી શકે છે. આ રીતે અત્યારે ૯ મંત્રીઓનાં પદ ખાલી છે. મંત્રીમંડળ વિસ્તરણની લડાઈ આ ૯ પદોને લઈને છે. સચિન પાઇલટ આ ૯માંથી ૭ મંત્રીપદ પોતાના સમર્થક ધારાસભ્યો માટે ઇચ્છે છે.