29 July, 2026 09:30 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
અયોધ્યા રામ મંદિર
અયોધ્યાના રામ મંદિરમાં ભક્તો માટે સુરક્ષિત અને સુગમ દર્શન સુનિશ્ચિત કરવા પાંચ અલગ-અલગ લાઇન, અલગ પ્રવેશ-નિકાસ અને રેલિંગ સાથેની નવી દર્શનવ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. આગામી શ્રાવણ ઝૂલા મેળાને પગલે પ્રશાસન સંપૂર્ણપણે અલર્ટ થઈ ગયું છે.
મેળા દરમ્યાન આઠથી ૧૧ ઑગસ્ટ અને ૨૩થી ૨૮ ઑગસ્ટ વચ્ચે પાંચથી ૧૦ લાખ કાવડિયા અને ૧૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવવાની શક્યતા છે. આથી અતિશય ભીડને નિયંત્રિત કરવા પાસ વગરના ભક્તોના પ્રવેશ પર રોક લગાવવામાં આવી શકે છે. શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ પર દર બે કલાકના સ્લૉટમાં ૧૫૦૦ પાસ ઇશ્યુ થાય છે.
સુરક્ષા માટે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા, પબ્લિક ઍડ્રેસ સિસ્ટમ, યાત્રી સુવિધા કેન્દ્રો અને વધારાની પોલીસ સાથે પ્રોવિન્શિયલ આર્મ્ડ કૉન્સ્ટેબ્યુલરી (PAC) તથા સ્થાનિક પોલીસની મદદ લેવાઈ રહી છે. દરરોજ બે લાખ ભક્તોનાં દર્શનની ક્ષમતા સામે ભીડ વધશે તો લાંબા રૂટથી દર્શન કરાવવામાં આવશે.