20 November, 2019 02:37 PM IST | New Delhi
વડાપ્રધાન મોદીને મળ્યા શરદ પવાર
એકતરફ જ્યાં મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને રાજકીય ખેંચતાણ ચાલી રહી છે, એ વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંસદમાં મુલાકાત કરી છે. જો કે, બંને વચ્ચે મહારાષ્ટ્રમાં ખેડૂતોની સમસ્યાને લઈને વાત થઈ છે. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ ત્યાં હાજર રહી.
વડાપ્રધાન મોદીને પત્ર લખીને કર્યો આગ્રહ
ત્યાં જ, શરદ પવારે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો જેમાં તેમણે કહ્યું કે મે બે જિલ્લાના પાકને થયેલા નુકસાનના આંકડાઓ ભેગા કર્યા છે. પરંતુ જરૂર કરતા વધારે વરસાદના કારણે નુકસાન મહારાષ્ટ્રના બાકીના વિસ્તારમાં ફેલાયું છે, જેમાં મરાઠાવાડા અને વિદર્ભનો સમાવેશ થાય છે. હું તેના વિશે વધુ જાણકારી ભેગી કરી રહ્યો છું.
પત્રમાં તેમણે એમ પણ કહ્યું કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોવાના કારણે, તમારો તાત્કાલિક હસ્તક્ષેપ જરૂરી છે. જો તમે મોટા પાયે ખેડૂતોનો રાહત આપવા માટે પગલાં ઉઠાવો છો તો હું તમારો આભારી રહીશ.
અમે પવારને કર્યો હતો અનુરોધઃ રાઉત
બંનેની મુલાકાત પહેલા એનસીપીના નેતા નવાબ મલિકે આ વિશે જાણકારી આપતા કહ્યું હતું કે શરદ પવાર વડાપ્રધાનને માંગ કરશે કે મહારાષ્ટ્રના ખેડૂતોને રાહત આપવામાં આવે. ત્યાં આ મુલાકાત પહેલા શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યુંકે અમે પણ પવારને અનુરોધ કર્યો હતો કે તેઓ રાજ્યની સ્થિતિ વિશે વડાપ્રધાનને જાણકારી આપે.