સાતમા, આઠમા ધોરણમાં સૅમ માણેકશૉ, બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માન, મેજર સોમનાથ શર્મા જેવા રિયલ હીરોઝના પાઠ ભણવા મળશે

11 August, 2025 06:58 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રક્ષા મંત્રાલયે ગુરુવારે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને આ બાબતે વિસ્તૃત માહિતી આપી હતી અને સમજાવ્યું હતું કે આપણાં બાળકો નવા હીરોઝ વિશે જાણે એ કેમ જરૂરી છે.

મોહમ્મદ ઉસ્માન, સૅમ માણેકશૉન, મેજર સોમનાથ શર્મા

નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશન રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગ (NCERT) દ્વારા અભ્યાસક્રમમાં ત્રણ વીર સૈનિકોની જીવનકથા અને બલિદાનની કહાણી ભણવા મળશે. આ ત્રણ રિયલ હીરો છે ફીલ્ડ-માર્શલ સૅમ માણેકશૉ, બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માન અને મેજર સોમનાથ શર્મા. રક્ષા મંત્રાલયે ગુરુવારે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને આ બાબતે વિસ્તૃત માહિતી આપી હતી અને સમજાવ્યું હતું કે આપણાં બાળકો નવા હીરોઝ વિશે જાણે એ કેમ જરૂરી છે.

રક્ષા મંત્રાલયે જાહેર કર્યું હતું કે ફીલ્ડ-માર્શલ માણેકશૉ અને મેજર સોમનાથની કહાણી આઠમા ધોરણમાં અને બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માનની કહાણી સાતમા ધોરણમાં સામેલ કરવામાં આવશે. એનાથી બાળકોને સૈનિકોની વીરતા અને ત્યાગભાવનામાંથી પ્રેરણા મળે.

કોણ હતા વીરો?

ફીલ્ડ-માર્શલ સૅમ માણેકશૉને લોકો સૅમ બહાદુર તરીકે પણ ઓળખે છે. તેઓ દેશના પહેલા ફીલ્ડ-માર્શલ હતા જે ૧૯૭૩માં આ રૅન્ક સુધી પહોંચ્યા હતા. તેમણે ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી જેમાં ૯૩,૦૦૦ પાકિસ્તાની સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હતું.

બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માન ભારતના એ મુસ્લિમ સૈનિકોમાંના એક હતા જેઓ ૧૯૪૮માં જંગના મેદાનમાં શહીદ થઈ ગયા હતા. તેમણે જમ્મુ-કાશ્મીરમાં ઝંગરને દુશ્મનો પાસેથી પાછું લેવાની કસમ ખાધી હતી અને એ માટે જીવ આપી દીધો હતો.

મેજર સોમનાથ શર્મા દેશના પહેલા પરમવીર ચક્ર વિજેતા હતા જેમણે શ્રીનગર ઍરપોર્ટની સુરક્ષા માટે દુશ્મનો સામે બાથ ભીડી હતી.

Education national news news indian army central board of secondary education