24 October, 2012 07:02 AM IST |
સોળંગો રાસ આમ તો કૃષ્ણ અને ગોપીઓનો રાસ છે. આ રાસમાં ગોપીઓ રમે છે અને રમતાં-રમતાં બનાવેલા હીંચકામાં બેસીને કાનો મટકી ફોડે છે. સહેજે વિચાર આવે કે મા દુર્ગાની ગરબીમાં કાના અને ગોપીની વાત ક્યાંથી આવે? ભીખુભાઈ રાચ્છ સમજાવે છે, ‘આ રાસમાં માતાજીની વાત નથી પણ ગોપીઓની વાત છે. ગોપીઓ સગવડ કરી આપે છે એટલે કાનો મટકી સુધી પહોંચે છે. કહેવાનો ભાવાર્થ એ છે કે નારીશક્તિ વિના પુરુષો અધૂરા છે એટલે નારીશક્તિને માન આપવું જોઈએ.’
નવદુર્ગા ગરબી મંડળનો સોળંગો રાસ જગવિખ્યાત થયો છે. રાષ્ટ્રપતિભવનથી માંડીને વાઇબ્રન્ટ ગુજરાતના ફંક્શનમાં આ રાસ રજૂ થઈ ચૂક્યો છે. સંજય લીલા ભણસાલી અને ફારાહ ખાને પણ સોળંગો રાસ જોયો છે. સોળંગો રાસ શીખવા માટે દેશભરનાં નવરાત્રિ મંડળોના કોરિયોગ્રાફર રાજકોટ આવી ગયા છે, પણ ગરબી મંડળના આયોજક આ રાસ કોઈને શીખવવા તૈયાર નથી. ભીખુભાઈ કહે છે, ‘બાળાઓના આ કૌવતને અમે તેમના પૂરતું સીમિત રાખવા માગીએ છીએ. અમારી ઇચ્છા છે કે આ રાસ જોવા માટે લોકો રાજકોટ જ આવે અને એટલે અમે આ રાસનાં સ્ટેપ્સ અને રાસ દરમ્યાન હીંચકો કેવી રીતે બને છે એ ટેક્નિક કોઈને શીખવી નથી.’
- તસવીરો : ચિરાગ ચોટલિયા