28 February, 2021 09:17 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર સવારે 11 વાગ્યે વર્ષના બીજા મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો આ 74મો એપિસોડ છે. પીએમ મોદીએ શનિવારે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. મન કી બાત કાર્યક્રમનો રેડિયો સિવાય પીએમ મોદીના ટ્વિટર હેન્ડલ, ફેસબુક પેજ અને મોદી એપ્પ દ્વારા પણ સાંભળી શકાય છે. આ કાર્યક્રમ દરેક મહિનાના અંતિમ રવિવારે પ્રસારિત કરવામાં આવે છે.
આ પહેલા 15 ફેબ્રુઆરીના રોજ મન કી બાત માટે લોકોથી અલગ-અલગ વિષયો પર તેમના સૂચનો માંગ્યા હતા. પીએમે ટ્વિટ કર્યું હતું, 'પ્રેરણદાયી ઉદાહરણો દ્વારા જાન્યુઆરીના મન કી બાતે કલા, સંસ્કૃતિ, પર્યટન અને કૃષિ નવીનતા સહિતના વિવિધ વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.' ફેબ્રુઆરીમાં કાર્યક્રમ માટે એવા હજી પ્રેરણાદાયક ટુચકાઓ સાંભળવા ગમશે, જે 28મી તારીખે થશે. વડા પ્રધાન મોદીએ લોકોને હિન્દી અથવા અંગ્રેજીમાં પોતાનો સંદેશ રેકોર્ડ કરવા માટે ટોલ-ફ્રી નંબર પણ શૅર કર્યો હતો.
જાન્યુઆરીમાં અંતિમ મન કી બાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વિરૂદ્ધ ચાલી રહેલા દેશવ્યાપી રસીકરણ અભિયાનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે સંકટના સમયે ભારત વિશ્વની સેવા એટલા માટે કરી રહ્યા છે કારણકે આજે તે દવાઓ અને રસીને લઈને આત્મનિર્ભર છે. તેમણે કહ્યું કે આ વિચાર આત્મનિર્ભર ભારત અભિયાનનો પણ છે. ભારત જેટલું સક્ષમ હશે, તેટલું જ વધારે માનવતાની સેવા કરશે, એટલો જ અધિક લાભ દુનિયાને થશે.