26 May, 2020 05:37 PM IST | Delhi | Gujarati Mid-Day Online Correspondent
ચીન સાથે જે સ્થિતિ સર્જાઇ રહી છે તેનો જવાબ આપવા માટે પણ રાહુલે મોદી સરકારને સવાલ કર્યા છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે વીડિયો પ્રેસકોન્ફરન્સ કરી છે અને આ તેમની ચોથી વીડિયો પ્રેસકોન્ફરન્સ છે જેમાં તેમણે લૉકડાઉનને સરિયામ નિષ્ફળ ગણાવી કહ્યું છે કે મોદી સરકાર કોરોનાને નાથવામાં નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું કે ભારત એક માત્ર એવો દેશ છે જ્યાં લૉકડાઉન છતાં પણ કોરોનાનાં કેસિઝની સંખ્યા ઘટવાને બદલે વધી રહી છે પણ છતાં ય લૉકડાઉનમાં છૂટ આપવાની શરૂઆત થઇ છે. તેમના મતે ભારત અત્યારે નિષ્ફળ લૉકડાઉનનાં પરિણામો ભોગવી રહ્યો છે. રાહુલ ગાંધીએ ફરી એ વાત પર ભાર મુક્યો કે તેમણે ફેબ્રુઆરીમાં જ આ વાઇરસના સંકટ અંગે કહ્યું હતું પણ ત્યારે તેમને કોઇએ ગંભીરતાથી ન લીધા અને હવે જો સરકાર કડક પગલાં નહીં લે તો બહુ મોટું આર્થિક સંકટ માથે પડશે. તેમણે કહ્યું કે, “એક રાષ્ટ્રીય નેતા તરીકે મને આ બોલવું ગમતું નથી પણ જો મધ્યમ અને લઘુ ઉદ્યોગોનું દેવાળિયું ફુંકાશે તો લોકો બેરોજગાર થઇ જશે અને માટે જ મધ્યમ અને લધુ ઉદ્યોગો તથા ગરીબોને પૈસાની જરૂર છે.” બેરોજગારીની આફત બહુ મોટી પસ્તાળ પાડશે તેમ કહેતા તેમણે આર્થિક પેકેજ જે જાહેર કરાયું છે તે તો GDPનો દસમો નહીં પણ એક ટકા જેટલો માંડ હિસ્સો છે.કોંગ્રેસે જે કર નથી ભરતા તેવા લોકોને મહીને 7500 આપવાની માંગ કરી છે પણ તેને પણ કોઇ ગણતરીમાં નથી લઇ રહ્યું, ભારતનું રેટિંગ વિદેશી વાહવાહીથી નક્કી ન થવું જોઇએ પણ દેશની તાકત જ દેશની ઓળખ છે અને વખત આવ્યો છે કે દેશને અંદરથી મજબુત બનાવાય. વળી ચીન સાથે જે સ્થિતિ સર્જાઇ રહી છે તેનો જવાબ આપવા માટે પણ રાહુલે મોદી સરકારને સવાલ કર્યા છે.