23 February, 2021 10:47 AM IST | New Delhi | Agency
બાબા રામદેવ
કોવિડ-19 સામેની લડતમાં પતંજલિની કોરોનિલ ટૅબ્લેટ પુરાવા આધારિત દવા છે તેમ જ એને ડબ્લ્યુએચઓનું સર્ટિફિકેશન મળ્યું હોવાનું સદંતર જુઠ્ઠાણું ચલાવવા બદલ ઇન્ડિયન મેડિકલ અસોસિએશન (આઇએમએ)એ ગઈ કાલે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું તથા જેમની ઉપસ્થિતિમાં દવા લૉન્ચ કરાઈ હતી તે કેન્દ્રીય આરોગ્યપ્રધાન હર્ષવર્ધન પાસેથી સ્પષ્ટતાની માગણી કરી હતી.
કોવિડ-19ની સારવાર માટે કોઈ પણ પરંપરાગત દવાની અસરકારકતાની સમીક્ષા કે સર્ટિફાય કરવામાં ડબ્લ્યુએચઓ સંકળાયેલું નથી એવી સ્પષ્ટતા બાદ આઇએમએએ ઉપરોક્ત નિવેદન કર્યું હતું.
યોગગુરુ રામદેવની પતંજલિ આયુર્વેદે ૧૯ ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે કોરોનિલ ટૅબ્લેટને ડબ્લ્યુએચઓની સર્ટિફિકેશની યોજના અનુસાર આયુષ મંત્રાલય પાસેથી કોવિડ-19ની સારવારમાં સહાય કરતી દવા તરીકે માન્ય કરતું સર્ટિફિકેટ મળ્યું છે.
જોકે પતંજલિના મૅનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણએ એક ટ્વીટ દ્વારા સર્ટિફિકેશન વિશે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ડબ્લ્યુએચઓ જીએમપી (ગુડ મૅન્યુફેક્ચરિંગ પ્રૅક્ટિસ) સર્ટિફિકેટને સમકક્ષ સર્ટિફિકેટ ઑફ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ (સીઓપીપી) સર્ટિફિકેટ ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીજીસીઆઇ) ભારત સરકાર તરફથી આપવામાં આવ્યું છે. ડબ્લ્યુએચઓ કોઈ પણ દવાને મંજૂર કે નામંજૂર કરતું નથી. ડબ્લ્યુએચઓ વિશ્વના લોકોના સારા અને સ્વસ્થ ભવિષ્ય માટે કામ કરે છે.