17 July, 2020 10:55 AM IST | Delhi | Gujarati Mid-Day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, ભારતમાં કોરોનાના કુલ કેસ વધીને 10,03,832 થયા છે. આ સાથે, ભારત એ ત્રણ દેશોની યાદીમાં જોડાયો છે જ્યાં 1 મિલિયનથી વધુ લોકો આ વાયરસથી સંક્રમિત છે. જો કે એક્ટિવ કેસિઝનો આંકડો અંદાજે સાડા ત્રણ લાખ છે. રિકરવી રેટ પણ સમયાંતરે બહેતર થઇ રહ્યો છે જે સારા સમાચાર છે.
મંત્રાલયે 17 જુલાઈના રોજ સવારે આઠ વાગ્યે જાહેર કરેલા આ આંકડા મુજબ, શુક્રવારે દેશમાં ચેપના 34,956 નવા કેસ નોંધાયા છે.ભારતમાં કોરોના વાયરસના ચેપને કારણે અત્યાર સુધી 25,000થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે છ લાખથી વધુનો ઇલાજ પણ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ ભારતમાં કોરોના વાયરસના વધતા જતા કેસિઝ પર ટ્વીટ કર્યું છે.રાહુલ ગાંધીએ લખ્યું છે કે, રોગચાળાને રોકવા માટે સરકારે નક્કર, આયોજિત પગલાં ભરવા જોઈએ. કોરોના વાયરસથી વિશ્વભરમાં મૃત્યુઆંક વધીને 589,211 પર પહોંચી ગયો છે. તે જ સમયે, ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 1.37 કરોડ થઈ છે.
ગંભીર રીતે પ્રભાવિત અમેરિકામાં 35.7 લાખ લોકો આ વાયરસથી સંક્રમિત છે જ્યારે 138,358 લોકોનાં મોત થયા છે. બ્રાઝિલમાં, કોરોનાથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 20 લાખથી વધુ થઈ ગઈ છે. આ વાયરસે અહીં 76,688 લોકોનો ભોગ લીધો છે.