16 July, 2020 03:07 PM IST | Gopalganj | Gujarati Mid-day Online Correspondent
આ પુલની હાલત જોવા લોકો ટોળે વળ્યાં છે.
બિહારમાં ભારે વરસાદને કારણે સ્થિતિ બેકાબૂ બની રહી છે. બિહારના છપરાને અડીને આવેલા ગોપાલગંજમાં 264 કરોડના ખર્ચે બનેલ સત્તરઘાટ મહાસેતુ પાણીના દબાણથી ધસી પડ્યો છે. આ મહાસેતુના તુટવાને કારણે ચંપારણ, તિરહુત અને સારણના ઘણા જિલ્લાઓનો સંપર્ક તૂટી ગયો છે. આ બ્રિજ પરનો ટ્રાફિક સંપૂર્ણ રીતે ખોરવાયો છે. દરમિયાન, RJD નેતા તેજસ્વી યાદવે પુલના ભંગાણ અંગે નીતીશ કુમારની સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આ પુલ ભ્રષ્ટાચારને કારણે તૂટી ગયો છે. એક ચેનલ સાથે વાત કરતાં તેજસ્વીએ કહ્યું કે આ પુલના પૈસા અધિકારીઓ પાસેથી વસૂલવા જોઈએ. તેજસ્વી યાદવે આ અંગે બહુ તેજાબી ટ્વીટ પણ કર્યું છે.
આ પુલ ફક્ત 29 દિવસમાં જ પાણીમાં ધોવાઈ ગયો. 16 જૂને, આ મહાસેતુનું ઉદઘાટન મુખ્યમંત્રી નીતીશ કુમારે પટનાથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યું હતું. બુધવારે ગોપાલગંજમાં ત્રણ લાખ ક્યુસેકથી વધુ પાણી હતું. પાણીના સ્તરના દબાણને કારણે આ મહાસેતુનો એપ્રોચ રોડ તૂટી ગયો હતો. આ પુલ બૈકુંઠપુરના ફૈજુલ્લાહપુરમાં તૂટી ગયો છે. ભાજપના ધારાસભ્ય મિથિલેશ તિવારીએ બિહારના માર્ગ બાંધકામ વિભાગના મંત્રી નંદકિશોર યાદવને આ અંગે જાણ કરી છે. તેજસ્વી યાદવે આ અંગે બહુ તેજાબી ટ્વીટ પણ કર્યું છે.