27 November, 2020 11:51 AM IST | New Delhi | Agency
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા એક દિવસમાં ૪૪,૪૮૯ નવા કેસ નોંધાવા સાથે દેશમાં કોવિડ-૧૯ સંક્રમિતોનો આંકડો ૯૨.૬૬ લાખ પર પહોંચ્યો છે, જ્યારે કે રિકવરીનો આંકડો વધીને ૮૬.૭૯ લાખ નોંધાયો છે, એમ કેન્દ્રના આરોગ્ય ખાતાના પ્રધાને ગઈ કાલે જાહેર કરેલી આંકડાકીય વિગતોમાં જણાવ્યું હતું.
દેશમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા ૯૨,૬૬,૭૦૫ થઈ હતી, જ્યારે કે એક દિવસમાં ૫૨૪ મૃત્યુ નોંધાતાં મરણાંક ૧,૩૫,૨૨૩ પહોંચ્યો હતો જે મૃત્યુની ટકાવારી ઘટીને ૧.૪૬ ટકાએ નોંધાઈ હોવાનું મંત્રાલય દ્વારા સવારે આઠ વાગ્યે જાહેર કરવામાં આવેલી આંકડાકીય વિગતોમાં જણાવાયું હતું.
બુધવારે કોવિડ-૧૯ના કેસ ૭૫૯૮ વધતાં કુલ ઍક્ટિવ કેસ ૪,૫૨,૩૪૪ થતાં સતત ૧૬મા દિવસે કોવિડ-૧૯ના ઍક્ટિવ કેસનો આંકડો પાંચ લાખ કરતાં નીચો રહ્યો હતો, જે કુલ કેસલોડના ૪.૮૮ ટકા સૂચિત કરે છે.
અત્યાર સુધીમાં કુલ ૮૬,૭૯,૧૩૮ લોકોએ રિકવરી મેળવતાં દેશનો રિકવરી રેટ ૯૩.૬૬ ટકા રહ્યો હતો.
કોરોના કેર યથાવત્ઃ જર્મનીમાં ૨૦ ડિસેમ્બર સુધી લૉકડાઉન લંબાવાયું
વિશ્વમાં વધતા કોરોના કેરની વચ્ચે જર્મનીએ ૨૦ ડિસેમ્બર સુધી આંશિક લૉકડાઉન વધારી દીધું છે. જ્યારે સોશ્યલ કૉન્ટૅક્ટને લઈને મૂકવામાં આવેલા પ્રતિબંધોને જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી શકે છે. ફેડરલ સ્ટેટના મિનિસ્ટર-પ્રેસિડન્ટ સાથેની મીટિંગ પછી વર્ચ્યુઅલ પ્રેસ-કૉન્ફરન્સમાં ચાન્સેલર એન્જેલા મર્કેલે આ માહિતી આપી છે.
તેમણે કહ્યું હતું કે એ મુદ્દે ચર્ચા થઈ કે જો કોરોનાના નવા કેસમાં ઘટાડો ન આવ્યો તો અમે પ્રતિબંધોને જાન્યુઆરી સુધી લંબાવીશું. જર્મનીમાં હવે કુલ ૯.૮૩ લાખ કોરોનાના કેસ પ્રકાશમાં આવી ચૂક્યા છે. જ્યારે લગભગ ૧૫ હજાર લોકોનાં આ કારણે મોત થયાં છે. બીજી તરફ યુનાઇટેડ કિંગડમમાં પાંચ મે પછી એક દિવસમાં સૌથી વધુ ૬૯૬ લોકોનાં મોત થયાં છે.
સુદાનના પૂર્વ વડા પ્રધાન અને નૅશનલ ઉમ્મા પાર્ટીના અધ્યક્ષ સાદિક મહદીનું કોરોનાને કારણે બુધવારે મોત થયું. સુદાનના મીડિયા મુજબ મહદી આ મહિનાની શરૂઆતમાં કોરાના સંક્રમિત થયા હતા. તેમણે સંયુક્ત આરબ અમીરાતમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ ૧૯૬૬-’૬૭ અને ૧૯૮૬-૧૯૮૯ સુધી સુદાનના વડા પ્રધાન રહ્યા.