આઇટી કંપનીઓ ૩૦થી ૪૦ હજાર લોકોની છટણી કરે એવી શક્યતા:મોહનદાસ પઈ

20 November, 2019 10:59 AM IST  |  New Delhi

આઇટી કંપનીઓ ૩૦થી ૪૦ હજાર લોકોની છટણી કરે એવી શક્યતા:મોહનદાસ પઈ

મોહનદાસ પઈ

રોજગાર મુદ્દે આ ખતરાની ઘંટી છે. ઇન્ફોસિસના ભૂતપૂર્વ ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસર (સીએફઓ) મોહનદાસ પઈએ કહ્યું કે જો અર્થવ્યવસ્થામાં આવેલ મંદી આગળ પણ ચાલુ રહેશે તો ભારતીય આઇટી કંપનીઓ આ વર્ષે અંદાજે ૩૦-૪૦ હજાર લોકોની છટણી કરી શકે છે. તેમણે કહ્યું કે આઇટી ઉદ્યોગમાં દર પાંચ વર્ષ બાદ હજારો લોકોની નોકરી આ રીતે જતી હોય છે. પાંચ વર્ષમાં આઇટી ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા ફેરફાર થાય છે અને એના કારણે જ લોકોની છટણી કરવામાં આવતી હોય છે.
પશ્ચિમના દેશોમાં તમામ ઔદ્યોગિક ક્ષેત્રોમાં આવી સ્થિતિ સર્જાય છે. ભારતમાં પણ જ્યાં કોઈ ક્ષેત્રે પરિપક્વ થઈ જાય છે ત્યારે ત્યાં મધ્યમ સ્તરના ઘણા કર્મચારીઓ એવા હોય છે જેઓ મળી રહેલા પગાર અનુસાર મૂલ્યવર્ધતી કરી શકતા નથી. તેમણે વધુમાં જણાવ્યું કે જ્યારે કંપનીઓ ઝડપથી વૃદ્ધિ કરતી હોય ત્યારે બઢતી થતી હોય છે, પરંતુ જ્યારે એમાં નરમાઈ કે મંદીનો માહોલ સર્જાય છે ત્યારે ઉંચા સ્તરે રહેલા અધિકારીઓ-કર્મચારીઓ જેઓ તગડો પગાર લેતા હોય છે તેમની સંખ્યા વધી જાય છે. આવી સ્થિતિમાં કંપનીઓએ સમયે-સમયે પોતાના કાર્યબળનું પુનઃ મૂલ્યાંકન કરવું પડે છે અને કર્મચારીઓની છટણી કરવાની ફરજ પડે છે.

infosys national news