17 April, 2026 10:05 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)એ એક નવી પહેલ શરૂ કરી છે. એ પ્રોજેક્ટનું નામ છે આરોગ્ય વન. આ પ્રોજેક્ટનો હેતુ છે નૅશનલ હાઇવેની કિનારીઓ પાસે દવા બની શકે એવાં વૃક્ષો લગાવીને જૈવવૈવિધ્યને પ્રોત્સાહન આપવાનો. હાઇવેની બન્ને તરફ ઇકોલૉજિકલ સંતુલન બહેતર બનાવવા ઉપરાંત પક્ષીઓ અને પૉલિનેટર્સને મદદ કરનારાં ઔષધીય વૃક્ષો લગાવવામાં આવશે.
પહેલા તબક્કામાં ૧૭ જગ્યાઓની પસંદગી કરવામાં આવી છે જે ૬૨.૮ હૅક્ટર જમીનમાં ફેલાયેલી છે. આ તબક્કામાં મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી, કર્ણાટક, તામિલનાડુ, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં આવેલા નૅશનલ હાઇવેના વિસ્તારો પસંદ કરવામાં આવ્યા છે જ્યાં ૬૭,૦૦૦થી વધુ ઔષધીય વૃક્ષો વાવવામાં આવશે.
લીમડો, આમળાં, જાંબુ, આંબલી, લીંબુ, ગૂગળ અને મૌલસરી જેવી ૩૬ પ્રકારની ઔષધિઓનાં વૃક્ષો વાવવામાં આવશે. આ વૃક્ષોની પસંદગી સ્થાનિક મોસમ અને માટીની કન્ડિશનના આધારે કરવામાં આવશે જેથી વૃક્ષોનો વધુ સારો ગ્રોથ થાય અને લાંબા સમય સુધી ચાલનારી સિસ્ટમ બને.
પ્લાન્ટેશન હાઇવેની આજુબાજુમાં આવેલા ટોલ-પ્લાઝા અને જંક્શન જેવી જગ્યાઓ પર કરવામાં આવશે. એનાથી લોકોમાં જાગૃતિ ફેલાશે અને હરિયાળી પણ વધશે. NHAIએ ભવિષ્યમાં આ પ્રોજેક્ટના વિસ્તાર માટે અન્ય ૧૮૮ હેક્ટર જમીન પસંદ પણ કરી લીધી છે.
પહેલા તબક્કાનું વૃક્ષારોપણ વરસાદી મોસમમાં થશે. આ પહેલ આયુર્વેદની પરંપરાગત સિસ્ટમને પ્રોત્સાહન આપશે અને ભારતના સમૃદ્ધ ઔષધીય વૃક્ષોના હેરિટેજને બચાવવામાં પણ મદદ કરશે.