12 September, 2025 09:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધ મૅચ મસ્ટ ગો ઑન.’ કોર્ટે કડક શબ્દોમાં આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાની ના પાડી દીધી હતી
T20 એશિયા કપ 2025માં રવિવારે ૧૪ સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચ રદ કરવા માટે હાલમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (PIL) એટલે કે જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. લૉના ચાર સ્ટુડન્ટ્સે દાખલ કરેલી આ અરજી જસ્ટિસ જે. કે. માહેશ્વરી અને વિજય બિશ્નોઈ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જોકે તેમણે આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.
અરજદારોએ દલીલ કરી હતી કે ‘પહલગામ આતંકવાદી હુમલા અને ઑપરેશન સિંદૂરમાં ભારતીય નાગરિકો અને સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા. એ પછી પણ પાકિસ્તાન સાથે ક્રિકેટ મૅચ રમવાથી રાષ્ટ્રીય ગૌરવ અને જાહેર ભાવનાની વિરુદ્ધ સંદેશ જશે. ક્રિકેટને રાષ્ટ્રીય હિત, નાગરિકોનાં જીવન અથવા સૈનિકોએ આપેલા બલિદાનથી ઉપર ન રાખવું જોઈએ.’
અરજદારોના વકીલોએ વિનંતી કરી હતી કે ‘આ કેસની સુનાવણી શુક્રવાર પહેલાં થવી જોઈએ, નહીંતર આ અરજી નિરર્થક બની જશે.’ જોકે એની સામે સુપ્રીમ કોર્ટની બેન્ચે જવાબ આપ્યો હતો કે ‘મૅચ આ રવિવારે છે? આપણે એના વિશે શું કરી શકીએ? રહેવા દો. ધ મૅચ મસ્ટ ગો ઑન.’ કોર્ટે કડક શબ્દોમાં આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાની ના પાડી દીધી હતી.