પહલગામ અટૅકમાં જીવ ગુમાવનારા શુભમ દ્વિવેદીની પત્નીનો ભારત અને પાકિસ્તાનની મૅચ પ્રત્યે આક્રોશ

30 July, 2025 06:59 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અમે સાંભળ્યું હતું કે લોકો દુ:ખ ઝડપથી ભૂલી જાય છે, પરંતુ માત્ર ત્રણ મહિનામાં બધું ભૂલીને પાકિસ્તાન સાથે ક્રિકેટ-મૅચ રમવા માટે સંમત થવું એ ખૂબ શરમજનક છે

શુભમ દ્વિવેદીની પત્ની ઐશન્યા દ્વિવેદી

એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મૅચ માટે ક્રિકેટ બોર્ડ સંમત થયું છે, પણ પહલગામ હુમલામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો આ મૅચ વિશે નારાજ છે. પહલગામ હુમલામાં આતંકવાદીઓની ગોળીનો પ્રથમ ભોગ બનેલા કાનપુરના શુભમ દ્વિવેદીની પત્ની ઐશન્યા દ્વિવેદીએ ભારત-પાક મૅચની મંજૂરી પર સવાલ ઉઠાવ્યા છે. તેણે મૅચનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે.

આ મુદ્દે ઐશન્યા દ્વિવેદીએ એક વિડિયો જાહેર કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે અને સ્પષ્ટપણે કહ્યું છે કે ‘ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચને મંજૂરી મળી ગઈ એ જાણીને હું ખૂબ દુખી છું. શું આપણે આટલી ઝડપથી ભૂલી શકીએ કે આપણા ૨૬ લોકોએ ત્રણ મહિના પહેલાં જીવ ગુમાવ્યો હતો? અમે સાંભળ્યું હતું કે લોકો દુ:ખ ઝડપથી ભૂલી જાય છે, પરંતુ માત્ર ત્રણ મહિનામાં બધું ભૂલીને પાકિસ્તાન સાથે ક્રિકેટ મૅચ રમવા માટે સંમત થવું એ ખૂબ શરમજનક છે. આપણે એ દેશ સાથે મૅચ કેવી રીતે રમી શકીએ જ્યાંથી આતંકવાદીઓ આવે છે? અમે આ નિર્ણયનો વિરોધ કરીએ છીએ. અમે આ મૅચનો બહિષ્કાર કરીશું. એક તરફ ઑપરેશન સિંદૂર ચાલી રહ્યું છે અને બીજી તરફ મૅચ, બન્ને કેવી રીતે થઈ શકે? ભારતીયો તરીકે શું આપણને કોઈ દુઃખ નથી?’

Pahalgam Terror Attack terror attack t20 asia cup 2025 cricket news pakistan india ind pak tension asia cup operation sindoor sports news sports indian army news national news