26 July, 2020 12:07 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: ટ્વીટર
માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા દેશનું સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાને આજે 67મી વખત દેશનું સંબોધન કર્યું હતું. આજે કારગિલ યુદ્ધને 21 વર્ષ પુર્ણ થયાં છે. વડાપ્રધાને આ યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને યાદ કર્યા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું હતું કે, આજે કારગિલ વિજય દિવસ છે. પાકિસ્તાને ભારત સાથે દગો કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ જીત ભારતના સૈનિકોના જુસ્સાની થઈ હતી.
કારગિલ વિજય દિવસ નિમિત્તે વડાપ્રધાને કહ્યું હતું કે, એ દિવસ સૌથી અનમોલ ક્ષણોમાંથી એક છે. સોશ્યલ મીડિયા પર પણ લોકો તેમના વીરોને નમન કરી રહ્યા છે. હું તમામ દેશવાસીઓ તરફથી એ વીર માતાઓને નમન કરું છું, જેમણે આવા વીરનો જન્મ આપ્યો છે. કારગિલ યુદ્ધ વખતે વાજપેયીજીએ લાલ કિલ્લાથી ગાંધીજીના મંત્રને યાદ કર્યો હતો. જો કોઈને દુવિધા હોય કે તમારે શું કરવાનું છે તો તેને ભારતના અસહાય ગરીબ વ્યક્તિ વિશે વિચારવું જોઈએ. કારગિલે આપણને બીજો મંત્ર આપ્યો છે. આપણે વિચારવાનું છે કે, આપણા આ પગલા એ સૈનિકને અનુકુળ છે, જેને પહાડો પર પોતાના પ્રાણની આહુતિ આપી હતી. આપણે જે વિચારીએ અને કરીએ છીએ, તેનાથી સૈનિકોના મન પર ઊંડી અસર થાય છે. આપણે જે કરીએ છીએ તેનાથી સૈનિકોનું મનોબળ વધવું જોઈએ. ક્યારેક ક્યારેક આપડે સોશ્યલ મીડિયા પર એવી વસ્તુઓ ફોરવર્ડ કરીએ છીએ, જેનાથી દેશનું મનોબળ ભાંગી પડે છે. આજકાલ યુદ્ધ માત્ર મેદાનમાં જ નથી લડાતું.
કોરોના વાયરસના મુદ્દે વડાપ્રધાને કહ્યું હતું કે, છેલ્લા ઘણા મહિનાથી આપણા દેશે જે રીતે કોરોનાનો સામનો કર્યો છે, તે પ્રશંસનીય છે. આજે આપણા દેશમાં કોરોનાથી મૃત્યુદર દુનિયાના અન્ય દેશો કરતા ઘણો ઓછો છે. એક પણ વ્યક્તિનું મોત દુઃખદ છે. પણ આપણે લોકોના મોત અટકાવ્યા છે. કોરોના આજે પણ એટલો ઘાતકી છે, જેટલો શરૂઆતમાં હતો. ચહેરા પર માસ્ક બે ગજનું અંતર, ક્યાં થૂંકવું નહીં, આ વાતોનું ધ્યાન રાખવાનું છે. આ જ આપણને કોરોનાથી બચાવી શકે છે. ક્યારેક ક્યારેક માસ્કથી આપણને તકલીફ થાય છે. એ વખતે કોરોના વોરિયર્સને યાદ કરો. તે કલાકો સુધી કીટ પહેરી રાખે છે. એક બાજુ આપણે કોરોનાથી લડવાનું છે, બીજી બાજુ વ્યવસાયને ઊંચાઈ પર લઈ જવાનો છે. આપણે કોરોનાના સમયમાં પણ જોઈ રહ્યા છીએ કે દેશના લોકોએ ટેલેન્ટથી નવા ઉદ્યોગ શરૂ કર્યા છે. બિહારમાં લોકોએ મધુબની પેઈન્ટિંગ વાળા માસ્ક બનાવવાના શરૂ કર્યા છે. આસામના કારીગરોએ વાસમાંથી ટિફિન અને બોટલ બનાવવાનું શરૂ કર્યું છે. જે ઈકોફ્રેન્ડલી હોય છે. ઝારખંડના એક વિસ્તારમાં ઘણા સમૂહ લેમનગ્રાસની ખેતી કરી રહ્યા છે. જેના તેલની આજકાલ વધુ માંગ છે.
આ મહિનાના મન કી બાત કાર્યક્રમ માટે વડાપ્રધાને 11 જૂલાઈએ લોકો પાસેતી સુચનો માંગ્યા હતાં.