મહારાષ્ટ્રના નેતાઓનો અમિત શાહને આગ્રહ, આપણી શરતે જ શિવસેના પાસેથી ટેકો લેજો, પ્લીઝ

20 October, 2014 03:50 AM IST  | 

મહારાષ્ટ્રના નેતાઓનો અમિત શાહને આગ્રહ, આપણી શરતે જ શિવસેના પાસેથી ટેકો લેજો, પ્લીઝ




સ્વબળે સફળતા મેળવનાર BJPમાં ઉલ્લાસનું વાતાવરણ છે. BJP હવે એવું કોઈ પગલું ભરવા નથી  માગતી જેથી શિવસેનાને ફાયદો થાય. જોકે શિવસેના સરકાર રચવા માટે પસંદગીનો પક્ષ છે છતાં રાજ્યના BJPના વરિષ્ઠ નેતાઓએ પક્ષપ્રમુખ અમિત શાહને સ્પષ્ટપણે જણાવી દીધું છે કે શિવસેનાને નાયબ મુખ્ય પ્રધાનપદ અથવા મુખ્ય પાંચ વિભાગો આપવા નહીં, જ્યારે બીજી બાજુ શિવસેનનાને સુધરાઈમાં અને કેન્દ્રની NDA સરકારમાં બની રહેવા BJPની જરૂર છે એથી એવું કોઈ પગલું BJPએ ભરવું નહીં જેથી રાજ્યમાં શિવસેનાની સ્થિતિ મજબૂત બને.

નાયબ મુખ્ય પ્રધાનપદ ઉપરાંત મહત્વના વિભાગો જેવા કે ગૃહ, મહેસૂલ, નગરવિકાસ, ગૃહનિર્માણ અને નાણાવિભાગ BJP પાસે જ રહેવા જોઈએ; કારણ કે રાજ્યના વિકાસ માટે એ મહત્વનું છે એવું પાર્ટીના નેતાઓનું માનવું છે. એ ઉપરાંત પાર્ટીને રાજ્યમાં સરકાર રચવા માટે માત્ર ૨૩ સીટની જ જરૂર છે.

સરકાર રચવા માટે જરૂરી તમામ મુદ્દાઓની ચર્ચા કરવા BJPના પાર્લમેન્ટરી બોર્ડની બેઠક ગઈ કાલે સાંજે દિલ્હીમાં યોજાઈ હતી. મુંબઈના BJPના એક નેતાએ જણાવ્યું હતું કે પરિણામો સ્પષ્ટ થતાં હાઈકમાન્ડ કાર્યરત થઈ ગયા છે. પાર્ટીના બે વરિષ્ઠ નેતાઓ રાજીવ પ્રતાપ રૂડી અને ઓ. પી. માથુર જેઓ ચૂંટણી વખતે મુંબઈમાં હતા તેમનાં મંતવ્યો અગત્યનાં બની રહેશે. ચૂંટણી વખતે થયેલા અનુભવો પછી આ નેતાઓ શિવસેનાને કોઈ વધુ મહત્વ નહીં આપે એ બાબત સ્પષ્ટ છે. જ્યારે શિવસેનાને એની પકડ ગ્રામીણ વિસ્તારોમાં મજબૂત કરવા સત્તામાં ભાગીદારીની તાતી જરૂર છે.

NCPનો ટેકો લેવાના મુદ્દે BJPમાં બે જૂથ બની ગયાં છે. જોકે જે પક્ષ ભ્રષ્ટાચાર અને ગોટાળાઓથી  ઘેરાયેલો છે એનો ટેકો લેવો મુશ્કેલ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ NCPને ભ્રષ્ટ પાર્ટી ગણાવી છે અને  એનો ટેકો લેવાથી વિરોધ પક્ષો અમને કફોડી સ્થિતિમાં મૂકશે એવું BJPના એક નેતાએ જણાવ્યું હતું.