22 May, 2019 02:21 PM IST | નવી દિલ્હી
જીતને લઈને PM મોદીઆશ્વસ્ત
વડાપ્રધાન મોદીને જીતનો વિશ્વાસ છે. સૂત્રો પ્રમાણે બુધવારે સાંજે NDAના નેતાઓ સાથે ડીનર પહેલા ભાજપના મુખ્યાલયમાં મંત્રી સાથે બેઠક કરી. જેમાં વડાપ્રધાન મોદી વિશ્વાસથી ભરપૂર જણાયા. તેમણે કહ્યું કે લોકોના અપાર સમર્થનથી હવે આપણી જવાબદારી વધી ગઈ છે.
વડાપ્રધાન મોદીએ માંગ્યો 100 દિવસનો એજન્ડા
અહેવાલો એવા પણ છે કે રાત્રે સરકારે મોટા અધિકારીઓ સાથે બેઠક કરી. જેમાં PM મોદીએ અધિકારીઓ પાસેથી દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિની જાણકારી મેળવી. સાથે જ વડાપ્રધાને પહેલા જ મંત્રાલયો અને વિભાગો પાસેથી 100 દિવસના એજન્ડાની માંગણી કરી છે.
પરિણામોના બે દિવસ બાદ થઈ શકે છે કેબિનેટ બેઠક-સૂત્ર
બેઠકમાં વડાપ્રધાન મોદીએ ચૂંટણીના પરિણામો બાદની પ્રક્રિયા વિશે પણ જણાવ્યુ. વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે પરિણામો બાદ ફરી એક વાર 25 મેના દિવસે બેઠકની જરૂર પડશે. PM મોદીના આ નિવેદનથી સાફ છે કે મોદી સરકારની આગામી કેબિનેટ બેઠક પરિણામોના બે દિવસ બાદ મળશે.
આ પણ વાંચોઃ જાણો કેવી રીતે થાય છે મતગણતરી, ક્યારે આવશે ફાઈનલ પરિણામ!
વડાપ્રધાન સાથેની બેઠકમાં NDAના નેતાઓએ આશા વ્યક્ત કરી કે એક્ઝિટ પોલની જેમ જ 23 મેના દિવસે પણ સારા પરિણામો આવશે. બેઠકમાં બિહારના મુખ્યમંત્રી અને જદયૂના અધ્યક્ષ નીતીશ કુમાર, તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસામી અને એલજેપીના પ્રમુખ રામવિલાસ પાસવાન, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે સામેલ થયા છે. શિરોમણિ અકાલી દળના નેતા સુખબીર બાદલ પણ હાજર રહ્યા.