યે કૌનસી મોહબ્બત કી દુકાન હૈ જો મોદી કી કબ્ર ખોદને કી બાત કરતે હૈં?

06 February, 2026 08:26 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

રાજ્યસભામાં વડા પ્રધાને રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ-પ્રસ્તાવ પર સ્પીચમાં કૉન્ગ્રેસ પર તીખા વાર કર્યા : વિપક્ષે રાહુલ ગાંધીને પહેલાં બોલવા દેવામાં આવે એવી ડિમાન્ડ સાથે વૉકઆઉટ કર્યું

ગઈકાલે રાજ્યસભામાં બોલતા નરેન્દ્ર મોદી.

ભારતીય સંસદમાં બજેટસત્ર દરમ્યાન ખૂબ હોબાળો થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ પર ધન્યવાદ-પ્રસ્તાવની ચર્ચા દરમ્યાન સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે તીખાં વાગ્બાણો ચાલી રહ્યાં છે. લોકસભામાં સતત વિપક્ષના હોબાળા વચ્ચે કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. વડા પ્રધાનનું ભાષણ લોકસભામાં સ્થગિત થઈ ગયું હતું, પરંતુ ગઈ કાલે નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં જવાબ આપ્યો હતો. વિપક્ષોએ ડિમાન્ડ કરી હતી કે જ્યાં સુધી રાહુલ ગાંધીને બોલવા નહીં મળે ત્યાં સુધી વડા પ્રધાનનું ભાષણ નહીં થવા દઈએ. તેમણે નારાબાજી ચાલુ કરી દીધી હોવા છતાં વડા પ્રધાને ભાષણ ચાલુ રાખતાં વિપક્ષી સંસદસભ્યો વૉકઆઉટ કરી ગયા હતા. વિપક્ષોના વૉકઆઉટ પર ‘જે થાકી ગયા તે બિચારા જતા રહ્યા...’ એમ કહીને નરેન્દ્ર મોદીએ મજાક કરી લીધી હતી. તેમણે એક કલાક ૨૭ મિનિટ ભાષણ આપ્યું હતું.

રોજ બે કિલો ગાળો ખાઉં છું: નરેન્દ્ર મોદી

મને કોઈએ પૂછ્યું હતું કે મોદીજી તમારા સ્વાસ્થ્યનું રહસ્ય શું છે? ત્યારે મેં કહેલું કે રોજ બે કિલો ગાળો ખાઉં છું. આ લોકો મોદીની કબ્ર કેમ ખોદવા માગે છે? આ માત્ર નારો નથી, એ તેમની અંદરનું પ્રતિબિંબ છે, કેમ કે અમે ૩૭૦મી કલમની દીવાલ તોડી નાખી એટલે હવે મોદીની કબર ખોદવા માગે છે. 

ભાષણમાં નરેન્દ્ર મોદીએ શું-શું કહ્યું?

 કૉન્ગ્રેસ ઇકૉનૉમીને છઠ્ઠા નંબરેથી ૧૧મા નંબરે લઈ ગયેલી. મેજર ઇકૉનૉમીમાં ભારતનો ગ્રોથ ખૂબ ઊંચો છે. હાઈ ગ્રોથ અને લો ઇન્ફ્લેશન એ યુનિક સંયોગ છે. આ આપણી અર્થવ્યવસ્થાની મજબૂતી છે. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આપણે દુનિયાની છઠ્ઠા નંબરની ઇકૉનૉમી હતા, પણ આ લોકોએ એવો ઇતિહાસ રચ્યો કે ભારત ૧૧મા નંબરે પહોંચી ગયું. આજે આપણે ત્રીજા નંબરની ઇકૉનૉમી તરફ જવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.

 કૉન્ગ્રેસ દેશના લોકોને સમસ્યા માને છે. નેહરુજી અને ઇન્દિરાજીની વિચારધારા કેવી હતી? એક વાર ઇન્દિરાજી ઈરાનમાં ભાષણ આપી રહ્યાં હતાં. તેમણે નેહરુજી સાથેની તેમની વાતચીતનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે ‘જ્યારે મારા પિતાજીને કોઈકે પૂછ્યું કે તમારી સામે કેટલી સમસ્યા છે? તો તેમણે કહેલું ૩૫ કરોડ. એ સમયે દેશની વસ્તી ૩૫ કરોડ હતી. આજે દેશની જનસંખ્યા ૫૭ કરોડ છે. મારી સમસ્યાઓની સંખ્યા પણ એટલી જ મોટી છે.’ શું કોઈ નેતા પોતાના જ દેશના લોકોને સમસ્યા માની શકે?

 ટ્રેડ-ડીલનો મોટો લાભ દેશના યુવાનોને થશે. દેશનાં તમામ દળોના નેતાઓનું ડેલિગેશન દુનિયાભરમાં ગયું ત્યારે તેમણે પણ અનુભવ કર્યો કે વિશ્વ આપણને તેમની બરાબરીમાં જુએ છે. આ પ્રયાસોનું પરિણામ સામે છે. મોટા-મોટા દેશો ભારત સાથે વેપારી સંબંધો બનાવવા માટે આતુર છે. અમેરિકા સાથે ટ્રેડ-ડીલ થયા પછી વિશ્વને હવે વધુ ભરોસો થઈ ગયો છે. આનો સૌથી મોટો લાભ યુવાનોને થશે. તેમના માટે નવી તકો ઊભી છે, તેમના માટે વિશ્વબજાર ખૂલી ચૂક્યું છે.

 કૉન્ગ્રેસના સાથીઓને મારા પર વિશેષ પ્રેમ છે. મને જે જવાબદારી મળી છે એ અંતર્ગત વિકસિત ભારતની જમીન મજબૂત થઈ રહી છે. એક તરફ દેશના યુવાનો માટે મજબૂત પાયો તૈયાર થઈ રહ્યો છે ત્યારે કૉન્ગ્રેસ મોદીની કબર ખોદવાની તૈયારી કરી રહી છે.

મોહબ્બત કી દુકાનવાલે ‘મોદી તેરી કબ્ર ખુદેગી’ના નારા લગાવી રહ્યા છે. આ કેવી દુકાન છે જે દેશના કોઈ નાગરિકની કબર ખોદવાની વાત કરે છે? આ કયું સંવિધાન છે જે દેશના નાગરિકની કબર ખોદવાની વાત કરતું હોય?

એમ. એમ. નરવણેનું પુસ્તક ‘ફોર સ્ટાર્સ ઑફ ડેસ્ટિની’ ઍમૅઝૉન અને ફ્લિપકાર્ટ પરથી ગાયબ

બુધવારે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એમ. એમ. નરવણેનું ‘ફોર સ્ટાર્સ ઑફ ડેસ્ટિની’ નામનું અપ્રકાશિત પુસ્તક સંસદમાં લઈને પહોંચ્યા હતા. તેઓ સતત આ પુસ્તક બતાવીને સ્પીકરને કહી રહ્યા હતા કે તેમને બોલવા દેવામાં આવે. રાહુલ ગાંધીએ આ પુસ્તક પરથી ૨૦૨૦ના લદ્દાખ વિશેના સરકારના સ્ટૅન્ડ પર નિશાન તાકવા માટે લોકસભામાં એને ક્વોટ કર્યું હતું. હવે આ પુસ્તક મોટા ઑનલાઇન પ્લૅટફૉર્મ પર નથી મળી રહ્યું. રાહુલ ગાંધીનો દાવો છે કે આ વિદેશમાં પબ્લિશ થયેલું પુસ્તક છે અને સરકાર એને ભારતમાં પબ્લિશ થવા નથી દઈ રહી. 
જ્યારે કોઈ પૉલિટિકલી સંવેદનશીલ માહિતી ધરાવતું પુસ્તક ઑનલાઇન સ્ટોર પરથી ગાયબ થઈ જાય તો પહેલાં શું થવું જોઈએ? એનો સત્તાવાર ખુલાસો, પ્લૅટફૉર્મ ટ્રાન્સપરન્સી કે પછી ઊંડી તપાસ? 

national news india narendra modi indian government congress rahul gandhi bharatiya janata party Lok Sabha droupadi murmu