ચૂંટણીને ૪૦૦ દિવસ બાકી, તમામ મતદાતા સુધી પહોંચો

18 January, 2023 01:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પીએમ મોદીએ બીજેપીની રાષ્ટ્રીય કારોબારીની મીટિંગમાં નેતાઓને આ મંત્ર આપ્યો

નવી દિલ્હીમાં ગઈ કાલે બીજેપીની રાષ્ટ્રીય કારોબારીની મીટિંગમાં કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને ગૃહપ્રધાન અમિત શાહ.

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે બીજેપીની રાષ્ટ્રીય કારોબારીની મીટિંગમાં આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે જીતનો મંત્ર આપ્યો હતો. તેમણે પાર્ટીના નેતાઓને વધુ ને વધુ મતદાતાઓ સુધી પહોંચવાની અપીલ કરી હતી. 

પીએમ મોદીએ કહ્યું હતું કે ‘આપણી પાસે ૪૦૦ દિવસ છે. (લોકસભાની ચૂંટણી સુધી) અને આપણે લોકોની સેવા માટે શક્ય બધું જ કરવાનું છે. આપણે ઇતિહાસ રચવાનો છે.’ બીજેપીના નેતા દેવેન્દ્ર ફડણવીસે પીએમ મોદીએ આ વાત કહી હોવાનું જણાવ્યું હતું. 

આ પણ વાંચો : બીજેપીની મીટિંગમાં બૂથ લેવલના માઇક્રો પ્લાનિંગ પર ખાસ ફોકસ

ફડણવીસે વધુ કહ્યું હતું કે ‘પીએમ મોદીએ કહ્યું હતું કે આપણે ૧૮થી ૨૫ વર્ષના એજ ગ્રુપ પર અચૂક ધ્યાન આપવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે આ જનરેશનના લોકો ઇતિહાસ અને આ પહેલાંની સરકારોએ શું કર્યું હતું એનાથી પરિચિત નથી. બીજેપીના કાર્યકરોએ તેમને વાકેફ કરવા જોઈએ અને તેમને સુશાસનના ભાગ બનવામાં મદદ કરવી જોઈએ. બીજેપીના કાર્યકરોએ આ જનરેશનને જણાવવું જોઈએ કે કેવી રીતે ભારત કુશાસનથી સુશાસન તરફ આગળ વધ્યું છે.’

national news bharatiya janata party Lok Sabha narendra modi new delhi