30 March, 2020 02:17 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent
રવિશંકરને કાંધ આપી રહેલા પાડોશી મુસલમાનો
કોરોના વાયરસ (COVID-19)નો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે અને વિશ્વના તેમજ દેશના દરેક ખુણેથી ખરાબ સમાચાર જ સાંભળવા મળે છે. પરંતુ આ દરમ્યાન ઘટેલી એક દુખદ ઘટનામાં પણ એક સુખની ક્ષણ જોવા મળી છે. ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં બનેલી એક ઘટનામાં કપરા સમયમાં પણ હિન્દુ-મુસ્લિમની એકતા જોવા મળી છે. આખા દેશમાં લૉકડાઉન હોવાથી હિન્દુ પરિવારમાં થયેલા મૃત્યુ સમયે મૃતદેહને કાંધ આપવા સંબંધીઓ નહોતા આવી શક્યા ત્યારે પાડોશમાં રહેતા મુસલમાનોએ અર્થીને કાંધ આપી હતી અને એટલું જ નહીં રામ નામ સત્ય હૈ બોલતા બોલતા અગ્નિદાહ પણ આપ્યો હતો.
ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં આવેલા આનંદ વિહારમાં રવિશંકરનું ઘર છે. તેમનો પરિવાર ખુબ જ ગરીબ છે અને તેઓ જે વિસ્તારમાં રહે છે ત્યાં મુસ્લિમોની વસતી વધારે છે. શનિવારે રવિશંકરનું મૃત્યુ થયું હતું અને પુત્રોએ સગા-સંબંધી બધાને જણાવ્યું હતું. પરંતુ કોરોનાન ભય અને લૅકડાઉનને લીધે કોઈ અંતિમ સંસ્કારમાં પહોચી શક્યું નોહતું. એટલે મૃતદેહને સ્મશાન સુધી કઈ રીતે લઈ જવો તે બાબતે પરિવાર મુંઝવણમાં મુકાયો ત્યારે તેમના મહોલ્લામાં રહેતા કેટલાક મુસ્લિમો તેમના ઘરે પહોચ્યા હતા અને પરિવારને દિલાસો આપ્યો હતો. મુસલમાનોએ અર્થી તૈયાર કરાવી, કાંધ આપીને રવિશંકરને કાળી નદી સ્થિત સ્મશાન ઘાટ સુધી લઈ ગાય હતા. દરમ્યાન રસ્તામાં રામ નામ સત્ય પણ બોલ્યા હતા અને અગ્નિસંસ્કાર વિધિસર પુરા કર્યા હતા.
આ ઘટના પરથી સાબિત થઈ ગયું હતું કે સંકટ સમયમાં જાત અને ધર્મનો કોઈ ભેદ નથી હોતો. હિન્દુ હોય કે મુસલમાન આવા સમયે સહુ કોઈ માણસાઈને જ મહત્વ આપે છે.