29 December, 2020 02:28 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર
પારિવારિક સંપત્તિના વિવાદની મધ્યસ્થીની કાર્યવાહીની પ્રક્રિયા સિંગાપોરમાં આગળ ધપાવવાના પુત્ર લલિત મોદીના પગલાને પડકારતી સ્વર્ગસ્થ કે. કે મોદીનાં પત્નીની અરજી પર નિર્ણય લેવાનું તેના અધિકારક્ષેત્રમાં આવે છે, એમ દિલ્હી હાઈ કોર્ટે જણાવ્યું હતું.
જસ્ટિસ સિદ્ધાર્થ મૃદાલ અને તાલવંત સિંહની બેન્ચે હાઈ કોર્ટના સિંગલ જજના ચુકાદાને બાજુએ મૂક્યો હતો. આ ચુકાદામાં જણાવાયું હતું કે લલિત મોદીનાં માતા બીના મોદી, ભાઈ સમીર અને બહેન ચારુ દ્વારા ફાઇલ કરવામાં આવેલ ઍન્ટિ-આર્બિટ્રેશન મનાઈ હુકમની સુનાવણી તેમના અધિકારક્ષેત્રમાં નથી આવતી અને આ માટે તેમણે સિંગાપોરની આર્બિટ્રેશન ટ્રિબ્યુનલ સમક્ષ રજૂઆત કરવી જોઈએ. સિંગલ જજે જણાવ્યું હતું કે ઍન્ટિ-આર્બિટ્રેશન મનાઈ હુકમ ખોટા નથી હોતા અને આથી આ અરજીની સુનાવણી જાળવવા યોગ્ય ન હોવાથી એને રદ કરવામાં આવે છે.