Ketan Agrawal Murder Case: કેતનના પરિવાર પર બીજો વજ્રઘાત, હવે આ સભ્યના પણ પ્રાણ ગયા

05 July, 2026 01:28 PM IST  |  Pune | Gujarati Mid-day Online Correspondent

Ketan Agrawal Murder Caseમાં નવો વળાંક આવ્યો છે. કેતનના મોતના આઘાત બાદ તેમના દાદા દેવીચંદ અગ્રવાલનું હાર્ટ એટેકથી નિધન થયું છે, જ્યારે પોલીસે સિયા ગોયલના વાયરલ મેસેજની પણ તપાસ શરૂ કરી છે.

કેતન અને સિયા અગ્રવાલની ફાઇલ તસવીર

આખા દેશમાં ચકચાર મચાવનાર પુણેના કેતન અગ્રવાલ હત્યાકાંડમાં (Ketan Agrawal Murder Case) હવે ફરી આઘાતજનક બીના બની છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર કેતનના મોત બાદ શોકગ્રસ્ત તેના દાદાએ પણ પ્રાણ ત્યજી દીધા છે. પૌત્રના મોત બાદ કેતનના દાદા દેવીચંદ અગ્રવાલનું હાર્ટ એટેક આવવાથી નિધન થયું છે. પરિવારના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા પંદર દિવસથી અસ્વસ્થ હતા.

કેતન અગ્રવાલના મોતના (Ketan Agrawal Murder Case) આઘાતમાંથી પસાર થઈ રહેલા પરિવારને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. કેતનના ૭૧ વર્ષીય દાદા દેવીચંદ અગ્રવાલનું હાર્ટ એટેક આવવાથી નિધન થયું છે. પરિવારના જણાવ્યા મુજબ શનિવારે રાત્રે 9:45 વાગ્યે તેમનું અવસાન થયું. કહેવામાં આવી રહ્યું છે કે કેતનના મોત બાદથી દેવીચંદ અગ્રવાલની તબિયત સતત ખરાબ રહેતી હતી. નોંધનીય છે કે કેતન અગ્રવાલને તેમની મંગેતર સિયા ગોયલે પુણેના લોહગઢ કિલ્લા પરથી ધક્કો મારી નીચે ફેંકી દીધો હતો. આ ઘટનામાં કેતનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટના 18 જૂને બની હતી. હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.

સિયા-ચેતન કોડવર્ડ વાપરતા હતા ચેટિંગમાં

નોંધનીય છે કે કેતન અગ્રવાલ અને સિયા ગોયલના લગ્ન આ વર્ષે નવેમ્બરમાં થવાના હતા. પોલીસ કસ્ટડી (Ketan Agrawal Murder Case) પૂર્ણ થયા બાદ બંને આરોપીઓને ન્યાયિક મેજિસ્ટ્રેટ એ.એમ. વિભુતે સમક્ષ રજૂ કરવામાં આવ્યા. સરકારી પક્ષે પોલીસ કસ્ટડી વધુ ત્રણ દિવસ વધારવાની માંગ કરી. તેમનું કહેવું હતું કે સિયા ગોયલ અને ચેતન ચૌધરીના મોબાઇલમાંથી મળેલા ડેટામાં સંકેતો અને કોડ ભાષામાં વાતચીત મળી છે. આ વાતચીતનો સાચો અર્થ જાણવા બંનેની વધુ પૂછપરછ કરવી જરૂરી હોવાનું સરકારી પક્ષે જણાવ્યું. બીજી તરફ, બંને આરોપીઓના વકીલોએ આ માંગનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે પોલીસને તપાસ માટે પહેલાથી જ પૂરતો સમય મળી ચૂક્યો છે. હવે વધુ કસ્ટડીમાં રાખીને પૂછપરછ કરવાની કોઈ જરૂર નથી.

બંને આરોપીઓને ૧૬ જુલાઈ સુધી જેલમાં મોકલાયા

બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે સરકારી પક્ષની અરજી નામંજૂર કરી. ત્યારબાદ બંને આરોપીઓને 16 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો. પુણે ગ્રામ્ય પોલીસે સિયા ગોયલ અને ચૌધરીનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવા માટે કોઈ આગ્રહ કર્યો નહોતો. પુણે ગ્રામ્યના પોલીસ અધિક્ષક સંદીપ સિંહ ગિલે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું કે ઘટનાસ્થળના કેટલાક મહત્વના સાક્ષીઓ સામે આવ્યા છે. તેમના નિવેદનો હાલમાં નોંધવામાં (Ketan Agrawal Murder Case) આવી રહ્યા છે. બંને આરોપીઓ વચ્ચે થયેલા પૈસાના વ્યવહાર અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે તપાસના ભાગરૂપે અનેક લોકોની પૂછપરછ થઈ ચૂકી છે. આ કેસમાં એક બીજો મોબાઇલ ફોન પણ મળી આવ્યો છે. ફોરેન્સિક પુરાવાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. કેતને સિયાને કેટલા રૂપિયા આપ્યા હતા તેની માહિતી યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.

સિયાએ તેના એક ફ્રેન્ડને સ્નેપચેટમાં મોકલેલો મેસેજ થયો વાઇરલ

સિયા ગોયલના મેસેજનો એક સ્ક્રીનશોટ (Ketan Agrawal Murder Case) સામે આવ્યો છે. આ મેસેજ તેણે પોતાની એક મિત્રને મોકલ્યો હતો. તેમાં તેણે લખ્યું હતું કે તેના અને કેતનના લગ્ન ક્યારેય થવાના જ નથી. પોલીસ દ્વારા શનિવારે આ માહિતી આપવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ મેસેજ મે મહિનામાં મોકલવામાં આવ્યો હતો. એટલે કે, કેતનની કથિત હત્યા પહેલાંના થોડા અઠવાડિયા પહેલાનો આ મેસેજ છે. સ્નેપચેટ પર મોકલાયેલા આ મેસેજમાં સિયાએ મિત્રને નવેમ્બરમાં ઉદયપુરમાં થનારા લગ્ન માટે આધાર કાર્ડની કોપી મોકલવા કહ્યું હતું. પરંતુ સાથે જ તેણે એવું પણ લખ્યું હતું કે આ લગ્ન થવાના જ નથી. મેસેજમાં લખ્યું હતું, "લગ્નની ટિકિટ માટે આધાર કાર્ડની આગળ-પાછળની તસવીર મોકલી દેજે. જોકે આ લગ્ન થવાના તો છે નહીં, છતાં મોકલી દેજે."

પોલીસ મેસેજ સાચો છે કે નહીં તેની તપાસ કરી રહી છે

પોલીસ અધિકારીએ (Ketan Agrawal Murder Case) જણાવ્યું કે કેતનના પરિવારે નવેમ્બરમાં થનારા લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. લગ્નમાં આવનારા સગા-સંબંધીઓ અને મિત્રોની મુસાફરીની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી હતી. આ માટે ગોયલ પરિવાર પાસેથી મહેમાનોના નામ અને આધાર કાર્ડની વિગતો માંગવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે હવે સિયાની આ મિત્રની પણ પૂછપરછ કરવામાં આવશે. જેથી જાણી શકાય કે તેને કેતનની હત્યાના કથિત કાવતરાની અગાઉથી કોઈ જાણકારી હતી કે નહીં. પોલીસ સ્નેપચેટ પર મોકલાયેલા મેસેજની સચ્ચાઈની પણ તપાસ કરી રહી છે.
 

pune news pune murder case news Crime News maharashtra news maharashtra