કર-નાટકઃ કૉન્ગ્રેસ-જેડીએસના તમામ પ્રધાનોનાં રાજીનામાં

09 July, 2019 11:12 AM IST  |  બૅન્ગલોર

કર-નાટકઃ કૉન્ગ્રેસ-જેડીએસના તમામ પ્રધાનોનાં રાજીનામાં

કુમારસ્વામી

કર્ણાટકમાં ૧૩ ધારાસભ્યોનાં રાજીનામાં બાદ રાજકીય સંકટ વધુ પ્રબળ બની રહ્યું છે. ૧૩ મહિના જૂની કૉન્ગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકારને બચાવવા માટે કૉન્ગ્રેસ-જેડીએસે નવો રાજકીય દાવ રમ્યો છે. ગઠબંધન સરકારમાં કૉન્ગ્રેસના તમામ ૨૧ પ્રધાનોએ રાજીનામાં આપી દીધાં. તેના થોડા સમય બાદ જેડીએસના પ્રધાનોએ પણ રાજીનામાં આપી દીધાં. હવે નવેસરથી કૅબિનેટની રચના થશે. પહેલા કૉન્ગ્રેસના તમામ ૨૧ પ્રધાનોએ રાજીનામા આપી દીધાં હતાં. હવે જેડીએસના તમામ ૧૧ પ્રધાનોએ પોતાનાં રાજીનામાં ધરી દીધાં છે.

કર્ણાટકમાં ધારાસભ્યનાં રાજીનામાંથી બીજેપીમાં સરકાર રચવાની આશાઓ ઊભી થઈ છે. સોમવારે એકમાત્ર અપક્ષ ધારાસભ્ય નાગેશે પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું. તેઓએ પોતાનું રાજીનામું રાજ્યપાલ વજુભાઈ વાળાને આપી દીધું છે તેના કારણે સરકાર સંકટમાં આવી ગઈ છે. અપક્ષ ધારાસભ્યએ બીજેપીને સમર્થન આપવાની પણ વાત કહી છે.

આ દરમ્યાન મુખ્ય પ્રધાન કુમારસ્વામી સરકારને લઈ ચિંતામુક્ત જોવા મળ્યા. તેઓએ કહ્યું કે, મને કોઈ ટેન્શન નથી. તમામ પ્રધાનોએ રાજીનામાં આપી દીધાં છે. હવે નવેસરથી કૅબિનેટની રચના થશે. અમે હાલની સમસ્યાને ટૂંક સમયમાં દૂર કરીશું. કૉન્ગ્રેસ-જેડીએસ સરકાર યોગ્ય રીતે ચાલતી રહેશે.

કૉન્ગ્રેસ બાદ હવે જેડીએસના પણ તમામે તમામ ૧૧ પ્રધાનોએ પદ પરથી રાજીનામાં આપી દીધાં છે.  હવે આગામી રણનીતિ પ્રમાણે રાજ્યમાં પ્રધાનમંડળની રચના જ નવેસરથી કરવામાં આવી શકે છે. આ પ્રધાનમડળમાં નારાજ અને અસંતુષ્ટ ચાલી રહેલા ધારાસભ્યોને પ્રધાન બનાવવામાં આવે તેવી શક્યતા છે.

બીજી બાજુ, કૉન્ગ્રેસ કોટાના તમામ પ્રધાનોએ પ્રદેશ અધ્યક્ષ દિનેશ ગુંડુરાવને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. સાથોસાથ કર્ણાટકના ડેપ્યુટી સીએમ જી. પરમેશ્વરે પણ પોતાનું રાજીનામું સોંપી દીધું છે.

કર્ણાટકમાં કૉન્ગ્રેસની સરકારથી સમર્થન પરત લેનારા અપક્ષ ધારાસભ્ય નાગેશે બીજેપીને સમર્થન આપ્યું છે. તેને લઈન તેમણે રાજ્યપાલ વજુભાઈ વાળાને પત્ર લખ્યો છે.

આમ એચડી કુમારસ્વામીના નેતૃત્વમાં જેડીએસ-કૉન્ગ્રેસ સરકારનું સંકટ ઘેરાયું છે કારણ કે અત્યાર સુધી નાગેશ સહિત ૧૩ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. તેની સાથે જ બાગી ધારાસભ્યોની કુલ સંખ્યા વધીને ૧૪ થઈ ગઈ છે.

જો આ તમામના રાજીનામાને સ્વીકારી લેવામાં આવશે તો વિધાનસભામાં કૉન્ગ્રેસ-જેડીએસ સત્તારૂઢ ગઠબંધન પાસે ધારાસભ્યોની કુલ સંખ્યા ૧૦૪ થઈ જશે. જ્યારે મુખ્ય વિપક્ષ બીજેપી પાસે વિધાનસભામાં કુલ ૧૦૫ સભ્યો છે. તેથી સ્વાભાવિક છે કે આ બદલતાં સમીકરણોને કારણે બીજેપી અહીં પોતાની સરકાર બનાવવાની કોશિશ જરૂર કરશે.

આ પણ વાંચો : ભારતે સ્વદેશી ટૅન્ક ઍન્ટિ ટૅન્ક ગાઇડેડ મિસાઇલ નાગનું સફળ પરીક્ષણ કર્યું

કૉન્ગ્રેસ-જેડીએસે સરકાર બચાવવા એક જુદી જ રણનીતિ અપનાવી છે. આ રણનીતિ અંતર્ગત કૉન્ગ્રેસે રાજ્ય સરકારમાં રહેલા તમામ પ્રધાનોનાં રાજીનામાં અપાવી દીધા છે. હવે તેમના સ્થાને અસંતુષ્ઠોને પ્રધાનપદ સોંપીને વિરોધને ઠારવાનો પ્રયાસ કરવામાં આવી શકે છે.

karnataka national news