06 December, 2020 07:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્યઃ જાગરણ
આતંકીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ CRPF ની સંયુક્ત પાર્ટી પર હુમલો કર્યો છે. આ ઘટના શ્રીનગરના હવાલાલના સજ્જરીપોરામાં બની હતી.
સમાચાર એજન્સી ANI એ જણાવ્યું હતું કે આ હુમલામાં એક પોલીસ જવાન અને એક નાગરિક ઘાયલ થયા છે. હાલની માહિતી મુજબ આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને આતંકવાદીઓને પકડવા માટે શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.
સુરક્ષાદળોનું કહેવું છે કે આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે. હજુ સુધી કોઈ પણ સંગઠને આતંકી હુમલાની જવાબદારી લીધી નથી.
હાલમાં આ સમયે જમ્મુ-કાશ્મીર માં જિલ્લા પરિષદની ચૂંટણીઓ ચાલી રહી છે, અને કાશ્મીરની જનતા એ જે ઉત્સાહ અને શાંતિ સાથે આ પ્રક્રિયામાં ભાગ લીધો છે તેને જોઈને પાકિસ્તાન ના પેટમાં ચૂંક ઉપડવી સ્વાભાવિક છે.
તાજેતરના સમયમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામ ભંગના બનાવોમાં વધારો થયો છે. આ વખતે જમ્મુ-કાશ્મીર ના કેરની સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જોકે સુરક્ષા દળોએ તેને નિષ્ફળ બનાવ્યો હતો. આ અગાઉ, જે રીતે આતંકવાદીઓ નાગરોટામાં માર્યા ગયા હતા અને તેઓ ભારતીય સરહદમાં પ્રવેશ્યા હતા, તે બતાવે છે કે કેવી રીતે ISI અને પાક સૈન્ય ભારત વિરુદ્ધ એક વધુ એક કાવતરાને અંજામ આપી રહ્યા છે.