03 June, 2020 02:49 PM IST | Srinagar | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
કોરોના વાયરસ (COVID-19)નો લોકોમાં એટલો ડર ફેલાયો છે કે તેઓ આ વાયરસથી સંક્રમિતોના અંતિમ સંસ્કારનો પણ વિરોધ કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં પણ આવો જ વિચિત્ર બનાવ બન્યો છે. અહીં કોરોના સંક્રમણથી પીડિત વૃદ્ધનું મોત થયા બાદ તેમના અંતિમ સંસ્કાર માટે પહોંચેલા પરિવારના સભ્યો અને પ્રશાસનનો સ્થાનિક લોકોએ જોરદાર વિરોધ કર્યો હતો. એટલું જ નહીં ભીડે પથ્થરમારો અને લાઠીઓ વરસાવતાં પરિવારને ચિતા પરથી અડધા બળેલા મૃતદેહને ઉઠાવીને ભાગવું પડ્યું હતું. જોકે, બાદમાં બાદમાં પ્રશાસનની હાજરીમાં ગોલ ગામ સ્થિત સ્મશાન ઘાટ પર નિયમો મુજબ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. પણ આશ્ચર્યની વાત એ છે કે પ્રશાસન એમ કહે છે કે આવો કોઈ બનાવ બન્યો જ નથી.
મૃતકના પરિવારે આપેલી માહિતિ મુજબ, 72 વર્ષીય નિવૃત્ત શિક્ષકનું સોમવારે જીએમસી જમ્મુમાં મૃત્યુ થયું હતું. મંગળવારે એક રેવન્યૂ અધિકારી અને મેડિકલ ટીમની સાથે સવારે 6:30 વાગે એમ્બ્યૂલન્સમાં મૃતદેહને લઈ દોમાના વિસ્તારમાં પહોંચ્યા હતા. એમ્બ્યૂલન્સમાં મૃતદેહની સાથે મૃતકના બે ભાઈ, પત્ની અને અન્ય કેટલાક લોકો હતા. તમામને પીપીઈ કિટ સહિત અન્ય જરૂરી સુરક્ષા પુરી પાડવામાં આવી હતી. સ્માશનમાં જ્યારે અંતિમ સંસ્કારની પ્રક્રિયા શરૂ કરી ત્યારે સ્થિક લોકો ત્યાં ભેગા થઈ ગયા અને અંતિમ સંસ્કારનો વિરોધ કરવાનું ચાલુ કરી દીધું હતું. પરિવારનો આક્ષેપ છે કે, કેટલાક લોકોએ પરિવારના લોકો પર અને સ્વાસ્થ્ય કર્કીઓ પર પથ્થરમારો કર્યો હતો અને લાઠી-ડંડાનો પણ ઉપયોગ કર્યો હતો. એટલે ચિતા પરથી મૃતદેહને ઉઠાવીને એમ્બ્યુલન્સમાં મુકીને જીએમસી લઈ જવામાં આવ્યો હતો.
મૃતકના દીકરાએ કહ્યું હતું કે, અમે અમારા ગૃહ જિલ્લામાં અંતિમ સંસ્કાર માટે સરકાર પાસે મંજૂરી માંગી હતી, પરંતુ અધિકારીઓએ કહ્યું કે જ્યાં મોત થયું છે ત્યાં જ અંતિમ સંસ્કારની તમામ વયવસ્થા કરવામાં આવશે અને અંતિમ સંસ્કારમાં કોઈ અડચણ ઊભી નહીં થાય. અંતિમ સંસ્કર સમયે પથ્થરમારો અને લાઠીચાર થયા ત્યારે ઘટનાસ્થળે હાજર બે સુરક્ષાકર્મીઓએ પણ કોઈ મદદ કરી નહોતી. બાદમાં ગોલ ગામમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કોરોના સંક્રમિત વૃદ્ધનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.