કાશ્મીરઃપુલવામામાં વધુ ચાર આતંકી ઠાર

18 May, 2019 08:49 PM IST  |  જમ્મુ કાશ્મીર

કાશ્મીરઃપુલવામામાં વધુ ચાર આતંકી ઠાર

પ્રતીકાત્મક તસવીર

જમ્મુ કાશ્મીરના પુલવામા અને શોપોરમાં સૈન્યના જવાનોએ વધુ ચાર આતંકીઓને ઠાર કર્યા છે. મળતી માહિતી પ્રમાણે પુલવામાના અવંતિપોરામાં ઠાર થયેલા ત્રણ આતંકવાદીઓ હિજબુલ મુજાહિદીન સાથે જોડાયેલા હતા. જયારે શોપેરમાં ઠાર કરાયેલા આતંકીની હજુ ઓળખ બાકી છે. આ એન્કાઉન્ટર દરમિયાનઅવંતિપોરમાં કેટલાક સ્થાનિકોએ લશ્કરના અભિયાનમાં અડચણ નાખવાની કોશિશ કરી હતી. પરિણામે પ્રદર્શનકારીઓને વિખેરી નાખવા માટે જવાનોએ લાઠીચાર્જ કરવાની અને ટિયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.

મળતી માહિતી પ્રમાણે સુરક્ષા દળોને શનિવારે અવંતિપોરામાં આતંકીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી હતી. જવાબી કાર્યવાહીમાં ત્રણે આતંકીઓને ઠાર કરાયા હતા. આ ત્રણેની ઓળખ શોકત અહમદ ડાર, ઈરફાન અહમદ અને મુઝફર અહમદ તરીકે થઈ છે.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે જ ગુપ્તચર વિભાગે કાશ્મીરમાં આતંકી હુમલાની શકયતાને લઈને ચેતવણી આપી હતી. મળતી માહિતી પ્રમાણે આતંકવાદીઓએ શ્રીનગર અને અવંતિપોરા એરબેસ પર બ્લાસ્ટનું કાવતરું રચ્યું છે. આ પહેલા ગુરૂવારે થયેલા એન્કાઉન્ટરમાં સૈન્યએ જૈશ-એ-મોહમ્મદના સ્થાનિક કમાન્ડર સહિત 6 આતંકીને ઠાર કર્યા હતા. આ કાર્યવાહીમાં બે જવાનો શહીદ થયા હતા.

national news terror attack jammu and kashmir