11 August, 2020 12:31 PM IST | Jaipur | Agencies
સચિન પાઇલટ
રાજસ્થાનમાં ૧૪ ઑગસ્ટથી વિધાનસભા સત્ર શરૂ થઈ રહ્યું છે. આ પહેલાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે અને લાગે છે સચિન પાઇલટે આખરે કૉંન્ગ્રેસ સામેની બળવાખોરી પર પૂર્ણવિરામ મૂકી દેશે. દિલ્હીમાં રાહુલ ગાધી સાથે તેમણે મુલાકાત કરી હતી. આ પછી કૉન્ગ્રેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સચિન પાઇલટ કૉન્ગ્રેસ માટે કામ કરવા કટિબદ્ધ છે તેમ જ તેમના અને અન્ય ધારાસભ્યોની ફરિયાદોનું નિરાકરણ લાવવા માટે ત્રણ સભ્યની કમિટી નિમવામાં આવશે. પાઇલટ અને રાહુલ વચ્ચે લગભગ દોઢ કલાક સુધી વાતચીત થઈ. એમ માનવામાં આવી રહ્યું છે કે પાઇલટનો પાર્ટીમાં પરત ફરવાનો રસ્તો બની શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ મુલાકાતની પહેલ હાઈ કમાન્ડ તરફથી કરવામાં આવી હતી. પાઇલટ ગ્રુપના તમામ ધારાસભ્યો સતત કહી રહ્યા છે કે અમે પાર્ટીથી નારાજ નથી, પરંતુ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતથી નારાજ છીએ. ધારાસભ્યોની ખરીદી અને વેચાણના મામલામાં સ્પેશ્યલ ઑપરેશન ગ્રુપએ ફાઇનલ રિપોર્ટ સોંપી દીધો છે.
રાષ્ટ્રદ્રોહનો મામલો હટવાથી ધારાસભ્યોને રાહત મળી છે. મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ધારાસભ્યોના પક્ષની બેઠકમાં સંકેત આપ્યા હતા કે હાઈ કમાન્ડનો નિર્ણય તેમને મંજૂર હશે. આ દરમિયાન ભાજપે ૧૧ ઑગસ્ટે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. પાર્ટી ગુજરાત ગયેલા તેમના ૧૮ ધારાસભ્યોને પણ પરત બોલાવશે.
મંગળવારે સાંજે ૪ વાગ્યે જયપુરની હોટેલ ક્રાઉન પ્લાઝામાં ધારાસભ્ય દળની બેઠક થશે. દરમ્યાન ગેહલોતે ગ્રુપના ધારાસભ્યોને કહ્યું કે બળવાખોરોની વિરુદ્ધ ઍક્શન લેવામાં આવે અને તેમને બક્ષવામાં ન આવે.