હવે કૅન્સલ કર્યા વિના રેલવેની કન્ફર્મ ટિકિટની તારીખ બદલી શકાશે

09 October, 2025 07:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વધારાનો ચાર્જ પણ ન ભરવો પડે એવી સુવિધા આપવાનો સરકારનો પ્રયાસ

પ્રતીકાત્મક તસવીર

પ્રવાસીઓને સારી સુવિધા મળી રહે એ માટે ભારતીય રેલવે ટિકિટ બુકિંગના નિયમોમાં એક મહત્ત્વનો ફેરફાર કરવાનું વિચારી રહી છે. આ ફેરફાર પછી પ્રવાસીઓ તેમની કન્ફર્મ ટિકિટ માટે પ્રવાસની તારીખ બદલી શકશે અને એ માટે તેમણે કોઈ વધારોનો ચાર્જ પણ નહીં આપવો પડે.

સમજો કે તમે ૨૦ નવેમ્બરની અમદાવાદની કન્ફર્મ ટિકિટ લીધી છે પણ એ પછી કોઈ કારણને લીધે તમે ૨૦ તારીખને બદલે ૨૫ તારીખે અમદાવાદ જવા માગો છો તો તમારે હાલની ટિકિટ કૅન્સલ કરીને નવી ટિકિટ બુક નહીં કરાવવી પડે, એ જ ટિકિટ માટે પ્રવાસની તારીખ આગળ કરવાની સુવિધા હવે પ્રવાસીઓને મળી શકશે. આ સાથે ​ટિકિટ કૅન્સલ કરવાથી જે કૅન્સલેશન ચાર્જ લાગતો હતો એ પણ બચી જશે.

રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ‘આ સુવિધા જાન્યુઆરીથી ઉપલબ્ધ કરવામાં આવશે. જોકે કન્ફર્મ ટિકિટની સામે કન્ફર્મ જ ટિકિટ મળશે એવું નથી, બીજી ટિકિટનું અલૉટમેન્ટ એ તારીખના બુકિંગ પર અવલંબે છે. વળી જો એના ટિકિટભાડામાં પણ ફેરફાર હોય તો પ્રવાસીએ ભાડામાં જેટલી રકમ વધારે હશે એ ચૂકવવી પડશે. આ સુવિધાના કારણે અનેક પ્રવાસીઓને ફાયદો થશે.’

કઈ ટિકિટ કૅન્સલ કરવાથી કેટલા પૈસા બચી શકશે?
AC ફર્સ્ટક્લાસ / એક્ઝિક્યુટિવ ક્લાસની ટિકિટ પર ૨૪૦ રૂપિયા, AC-2 ટિયર/ ફર્સ્ટ ક્લાસની ટિકિટ પર ૨૦૦ રૂપિયા, AC-3 ટિયર/ AC ચૅર કાર / 3 ઇકૉનૉમી ક્લાસની ટિકિટ પર ૧૮૦ રૂપિયા કૅન્સલેશન ચાર્જ લાગે છે. સ્લીપર ક્લાસની ટિકિટ પર ૧૨૦ રૂપિયા અને સેકન્ડ ક્લાસની ટિકિટ પર ૬૦ રૂપિયા કૅન્સલેશન ચાર્જ લેવામાં આવે છે.

national news india indian railways mumbai local train irctc