09 January, 2019 03:48 PM IST | નવી દિલ્હી
ફાઇલ ફોટો
આ વખતે 1 ફેબ્રુઆરીના રોજ ઇન્ટરિમ બજેટ (વચગાળાનું બજેટ) રજૂ થશે. આ માટે કેબિનેટટે સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરીની વચ્ચે કરાવવાનો નિર્ણય લીધો છે. કેબિનેટની સંસદીય મામલાઓ સાથે જોડાયેલી સમિતિ (કેબિનેટ કમિટી ઓન પાર્લામેન્ટરી અફેર્સ)એ બુધવારે આ નિર્ણય લીધો છે. ન્યુઝ એજન્સીએ સરકારી સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે. અધિકૃત એલાન પછીથી કરવામાં આવશે.
જ્યારે લોકસભા ચૂંટણી થાય છે, તે વર્ષે નાણામંત્રી ઇન્ટરિમ બજેટ રજૂ કરે છે. આ બજેટ કેટલાક મહિનાઓના સરકારી કામકાજ ચલાવવા માટે હોય છે. નવી સરકાર બન્યા પછી જુલાઈમાં સપ્લીમેન્ટરી બજેટ રજૂ કરવામાં આવે છે, જે બાકીના નાણાકીય વર્ષ માટે હોય છે. અન્ય વર્ષોમાં નાણામંત્રી પૂર્ણ બજેટ રજૂ કરે છે.
લોકસભા ચૂંટણીની બરાબર પહેલા થનારા આ બજેટ સત્રમાં સરકાર કંઇક મોટી જાહેરાતો કરી શકે છે. હાલના શિયાળુ સત્રમાં પણ સરકાર સામાન્ય વર્ગના ગરીબો માટે 10 ટકા અનામત સાથે જોડાયેલું 124મું બંધારણીય સુધારા બિલ લઈને આવી છે, જેને લોકસભામાંથી પાસ થયા પછી રાજ્યસભાની મંજૂરી મળવાની રાહ છે.
આ પણ વાંચો: સવર્ણ અનામત બિલ મુદ્દે રાજ્યસભામાં હોબાળો, 2 વાગ્યા સુધી સ્થગિત
આગામી બજેટ સત્રમાં પણ સરકારની કોશિશ હશે કે બજેટ પર ચર્ચા પછી બચેલા સમયમાં ત્રણ તલાક જેવા મહત્વના બિલને પાસ કરાવવામાં આવે, કારણકે આ બિલ પણ લોકસભામાંથી પાસ થયા પછી રાજ્યસભામાં અટક્યું છે. આ ઉપરાંત બજેટ સત્રમાં સરકાર અન્ય પેન્ડિંગ બિલોને પણ પાસ કરાવવાનો પ્રયત્ન કરશે. જોકે, ચૂંટણી પહેલા થનારા આ સત્રમાં વિપક્ષના પણ પોતાના મુદ્દાઓ હશે, જેના પર હોબાળો થવાના આસાર છે. ગયા વર્ષે આખું બજેટ સત્ર આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગને કારણે ધોવાઈ ગયું હતું.