09 May, 2020 05:13 PM IST | Mumbai Desk | Agencies
જીડીપી
મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસને ભારતનું ચાલુ નાણાકીય વર્ષનો વૃદ્ધિદર શૂન્ય ટકા રહેવાનું અનુમાન છે. રેટિંગ એજન્સીએ કહ્યું કે ભારતને લૉકડાઉન દરમ્યાન મોટા ઘટાડાનો સામનો કરવો પડશે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતની ગ્રોથ શૂન્ય પર રહેશે, પરંતુ ૨૦૨૨માં ખૂબ જ ઝડપી વાપસી કરશે. જોકે મૂડીઝે ભારતીય અર્થવ્યવસ્થાને લઈ મોટી આશા વ્યક્ત કરતા કહ્યું કે ૨૦૨૨માં ભારતીય અર્થવ્યવસ્થાનો જીડીપી ગ્રોથ ૬.૬ ટકા સુધી રહી શકે છે.
જો આવું થાય છે તો ભારતને મંદીના સંકટથી નીકળવામાં મદદ મળશે. મૂડીઝે રાજકોષીય નુક્સાન પણ ૫.૫ ટકા રહેવાનું અનુમાન સેવ્યું છે. આ પહેલાં બજેટમાં ભારતના નાણાપ્રધાને ૩.૫ ટકાના નુક્સાનની વાત કહી હતી. એજન્સીએ કહ્યું કે કોરોના સંકટના કારણે ભારત સંપૂર્ણ રીતે અટકી ગયું છે અને આ વર્ષે તેની અસર જોવા મળશે. તમને જણાવી દઇએ કે મૂડીઝે કોરોના સંકટ પહેલાં જ ગત વર્ષે નવેમ્બર મહિનામાં જ ભારતને સ્ટેબલ એટલે કે અર્થવ્યવસ્થાથી હટાવી નેગેટિવમાં નાખી દીધું હતું, ત્યારે એજન્સીએ કહ્યું હતું કે તે આગામી સમયમાં પણ ભારતના આર્થિક ગ્રોથ પર નજર રાખશે.
મૂડીઝે પોતાના અનુમાનને લઈ ભારતીય અર્થવ્યવસ્થાના સમેટવાનું કારણ જણાવતા કહ્યું કે કોવિડ-૧૯નો ઝડપી પ્રસાર, વૈશ્વિક આર્થિક દૃષ્ટિકોણમાં ઘટાડો, તેલની કિંમતોમાં ઘટાડો અને નાણાકીય બજારમાં ઊથલપાથલ ભારે સંકટનું સર્જન કરી રહ્યા છે. ગ્રામીણ અર્થવ્યવસ્થામાં લાંબા સમયથી ચાલી રહેલા આર્થિક સંકટ, નોકરીઓના સર્જનમાં અછત અને હવે એનબીએફસીના રોકડ સંકટમાં ઘેરાવાના કારણે ભારતની અર્થવ્યવસ્થા મોટા સંકટમાં જઈ શકે છે. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીએ કહ્યું કે કેન્દ્ર સરકારના નુક્સાનના લક્ષ્ય, રાજ્ય સ્તરના નુક્સાનનો વિસ્તાર, માલ અને સેવા કરને લાગુ કરવાના પડકારથી સતત નુક્સાન તે દર્શાવે છે કે નાણાકીય નીતિ નિર્માણ ઓછું પ્રભાવી રહ્યું છે.