26 June, 2020 02:00 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent
ભારતીય રેલવે (ફાઇલ ફોટો)
કોરોનાના સતત વધતાં કેસને જોતાં રેલવેએ બધી રેગ્યુલર ટ્રેન રદ કરી દીધી છે. રેલવે બોર્ડે ગુરુવારે કહ્યું કે બધી નિયમિત મેલ, એક્સપ્રેસ અને પ્રવાસી ટ્રેન સેવાઓ સાથે ઉપનગરીય ટ્રેનો 12 ઑગસ્ટ સુધી રદ રહેશે. તેમણે જણાવ્યું કે બધી સ્પેશિયલ ટ્રેન ચાલું રહેશે. આ અંતર્ગત 12 મેથી રાજધાનીના માર્ગ પર ચાલતી 12 જોડી ટ્રેનો તથા એક જૂનથી ચાલતી 100 જોડી ટ્રેનો ચાલું રહેશે.
અધિકારીઓએ જણાવ્યું કે જરૂરી સેવાઓમાં લાગેલા કર્મચારીઓના આવાગમન માટે હાલ મુબંઇમાં સીમિત રીતે શરૂ કરવામાં આવેલી વિશેષ ઉપનગરીય સેવા પણ ચાલું રહેશે.
રેલવે બૉર્ડના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, "એક જુલાઈથી 12 ઑગસ્ટ વચ્ચે પ્રવાસ માટે બધી નિયમિત ટ્રેનોની બુક કરવામાં આવેલી ટિકિટ રદ કરવામાં આવી છે. બધી રકમ પાછી આપી દેવામાં આવશે." આ પહેલા રેલવેએ 30 જૂન સુધી બધી ટ્રેનો રદ કરી દીધી હતી.
કેવી રીતે મળશે ટ્રેનની કેન્સલ ટિકિટનું રિફંડ?
કેન્સલ કરવામાં આવેલી ટ્રેનોની ટિકિટના પૂરા પૈસા રિફંડ થશે. રેલવે પ્રમાણે પ્રવાસી પોતાની ટિકિટના પૈસા રેલવેના કાઉન્ટર પર જઈને લઇ શકશે. આ માટે પ્રવાસીએ રેલવે કાઉન્ટર પર પોતાની જૂની ટિકિટ બતાવવાની રહેશે, પછી જ તેને ટિકિટની રકમ કેશમાં રિફંડ મળી જશે.
તો, જે લોકોએ ઇન્ટરનેટના માધ્યમે ટિકિટ બુક કરી છે તેમને રેલવે તરફથી તેમના ખાતામાં ડાયરેક્ટ પૈસા રિફંડ કરવામાં આવશે. રેલવે પ્રમાણે પ્રવાસી કેન્સલ ટિકિટનું રિફંડ પોતાના પ્રવાસ કરવાની તારીખથી લઈને 6 મહિના સુધીમાં લઈ શકશે. એટલે કે 1 જુલાઇના ટ્રાવેલ કરનાર પ્રવાસીની ટિકિટ કેન્સલ થવા પર પ્રવાસી ડિસેમ્બર સુધી તેનું રિફંડ લઈ શકે છે. રેલવે એ આટલો લાંબો સમય કાઉન્ટર પર સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન થઈ શકે, તે માટે આપ્યું છે.
આ તારીખ પહેલા બુક ટિકિટો પર મળશે ફુલ રિફંડ, જાણો મેળવવાની રીત
કોરોના કાળમાં રેલવે પ્રવાસીઓને દરેક શક્ય તેવી મદદ કરે છે. જો ટ્રેન રદ નથી થઈ, પણ પ્રવાસી તે દિવસે યાત્રા ન કરવા માગે અને ટિકિટ કેન્સલ કરી દે તો રેલવે યાત્રીને ટિકિટના પૂરા પૈસા રિફંડ આપશે