પાકિસ્તાનની જેલોમાં ભારતીય કેદીઓનું લોહી કુતરાઓને પીવડાવાય છે

01 December, 2014 07:42 AM IST  | 

પાકિસ્તાનની જેલોમાં ભારતીય કેદીઓનું લોહી કુતરાઓને પીવડાવાય છે




અમૃતસર, (અશોક નીર)

પાકિસ્તાનની જેલોમાં કેદ ભારતીય કેદીઓ સાથે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના અધિકારીઓ દ્વારા બર્બરતાપૂર્ણ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. ભારતીય કેદીઓને ભારતની ગુપ્તચર એજન્સી રૉ ના એજન્ટ ગણાવીને તેમના શરીરમાંથી લોહી કાઢીને કુતરાઓને પીવડાવવામાં આવતુ હોવાની કાળજુ કંપાવનારી હકીકતો પણ સામે આવી છે. કેદીઓ પર જેલમાં ખુંખાર કુતરાઓને ખુલ્લા છોડી દેવામાં આવે છે. ત્રણ-ત્રણ વર્ષ સુધી ટોર્ચર સેલોમાં ગોંધી રાખી દરરેજ ઈલેક્ટ્રીક કરંટ આપીને તેમને બેરહેમીપૂર્વક માર મારવામાં આવે છે. એટલુ જ નહીં આ કેદીઓને ભોજનમાં નપુશંકતાની દવાઓ પણ આપવામાં આવતી હોવાની આંખો પહોળી કરી નાખે તેવી બાબતો પ્રકાશમાં આવી છે.

પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવેલા અને ગત રાત્રે શનિવારે અટારી ખાતે આવી પહોંચેલા 40 જેટલા ભારતીય કેદીઓએ આ હકીકત વર્ણવી હતી. 40 કેદીઓમાં 35 માછીમારો છે. જ્યારે ત્રણ કેદીઓ પોતાનું માનસીક સંતુલન એ હદે ગુમાવી બેઠા છે કે તેમને પોતાના ઘરના સરનામાં પણ યાદ નથી.

પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવેલા કાશ્મીરના કુપવાડા જીલ્લાના રહેવાસી મુબારક હુસૈન શાહે જણાવ્યું હતું કે તે 12 બાદ જેલમાંથી મુક્ત થઈને વતન પરત ફર્યો હતો. રાવલપીંડિ જેલમાં પસાર કરેલી ક્ષણો વાગોળતા શાહે કહ્યું હતું કે ત્યાં અનેકવાર તેમના શરીરમાંથી લોહી કાઢવામાં આવતું હતું. જે જેલના ખુંખાર કુતરાઓને પીવડાવવામાં આવતું હતું. એટલુ ઓછુ હોય તેમ એજ કુતરાઓ અમારા પર ખુલ્લા છોડવામાં આવતા હતાં. શાહે કહ્યું હતું કે કુતરાઓએ તેનો એક પગ પણ કરડી ખાધો હતો.