મોદી સરકારે ઍરલાઇન્સને આપી ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની રાહત

05 June, 2026 12:18 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જેટ ફ્યુઅલનો ભાવ લૉક કર્યો એને પગલે કંપનીઓને ઑપરેશન્સમાં મદદ મળશે

પ્રતીકાત્મક તસવીર

અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે સર્જાયેલી કટોકટીને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઑઇલના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે મોદી સરકારે ઘરેલુ ઍરલાઇન્સ કંપનીઓને મોટી રાહત આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કૅબિનેટની બેઠકમાં બુધવારે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની મોટી સહાયયોજનાને મંજૂરી આપવામાં આવી હતી. આ યોજના હેઠળ સરકારી તેલકંપનીઓ માટે એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવ પર કૅપિંગ નક્કી કરવામાં આવ્યું છે. આ આર્થિક સહાયથી ભારતીય ઍરલાઇન્સનાં ઑપરેશન્સમાં કોઈ અવરોધ નહીં આવે અને વૈશ્વિક સ્તરે ભાવ વધવા છતાં મુસાફરો પર મોંઘી ટિકિટોનો બોજ નહીં પડે.

જેટ ફ્યુઅલનો ભાવ દિલ્હીમાં ૧૧૫ રૂપિયા પર લૉક કરવામાં આવ્યો

નવા નિયમ મુજબ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બન્ને ફ્લાઇટ્સ માટે જેટ ફ્યુઅલનો મહત્તમ ભાવ દિલ્હીમાં પ્રતિ લીટર ૧૧૫ રૂપિયા અને મુંબઈમાં ૧૧૪.૫ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. હાલમાં દિલ્હીમાં સ્થાનિક ફ્લાઇટ્સ માટે આ ભાવ ૧૦૫ રૂપિયા અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે ૧૧૦ રૂપિયા છે, પરંતુ જો બ્રેન્ટ ક્રૂડના ભાવ (જે હાલમાં બૅરલદીઠ ૯૭ ડૉલર પર છે) વધુ વધશે તો પણ ઍરલાઇન્સને વધુ ચૂકવવા નહીં પડે. તેલકંપનીઓને થનારા નુકસાનની ભરપાઈ સરકાર વ્યાજમુક્ત ઍડ્વાન્સ આપીને કરશે. આ મેકૅનિઝમ આગામી ૩૬ મહિના સુધી અમલમાં રહેશે. નોંધનીય છે કે કોઈ પણ ઍરલાઇનના ઑપરેટિંગ ખર્ચમાં ૪૦ ટકા હિસ્સો માત્ર ઈંધણનો હોય છે, જેથી આ નિર્ણય ઉડ્ડયન ક્ષેત્ર માટે લાઇફલાઇન સાબિત થશે.

airlines news indian government petrol diesel price india national news news