09 May, 2020 04:36 PM IST | Mumbai Desk | Agencies
ફાઇલ ફોટો
ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. જમ્મુ-કાશ્મીરના પુંછ સૅક્ટરમાં છેલ્લા ૩ દિવસથી પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવી રહેલા ગોળીબારનો આજે ભારતીય સેનાએ આકરો જવાબ આપતાં ૩ થી ૪ પાક સૈનિકોને ઠાર માર્યા હતા. આ કાર્યવાહીમાં અન્ય ૫ પાકિસ્તાની સૈનિકો ગંભીર રૂપે ઘાયલ થયા છે.
ભારતીય સૈન્યએ કરેલી કાર્યવાહી એટલી તો આક્રમક હતી કે પાકિસ્તાની સેનાની ૪ ચોકીઓના ફૂરચેફૂરચા ઉડાડી દીધા હતા. ભારતીય સેનાએ હંદવાડામાં થઈ રહેલા આતંકી હુમલાને લઈને પાકિસ્તાનને સણસણતો જવાબ પણ આપ્યો છે.
હાલ દુનિયા આખી કોરોના વાઇરસની દવાઓ અને તેનો ઉકેલ લાવવાના પ્રયાસો કરી રહી છે ત્યારે પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી વાજ નથી આવી રહ્યું. નિયંત્રણ રેખા પર તે છેલ્લા કેટલાક દિવસથી સતત સંઘર્ષ-વિરામનો ભંગ કરીને ગોળીબાર કરી રહ્યું હતું. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનની આ હરકતનો જવાબ તેની ૪ ચોકીઓ તોડી પાડીને આપ્યો છે.
ગત મહિને કુપવાડા જિલ્લામાં રંગવાર ક્ષેત્રમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ૩ નાગરિકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે તે પહેલા પુંછ અને કઠુઆ જિલ્લામાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પાકિસ્તાની સેનાએ કોઈ જ પ્રકારની ઉશ્કેરણી વગર જ ગોળીબાર અને મોર્ટાર મારો કર્યો હતો, જેમાં ૪૫ વર્ષીય ભારતીય મહિલાનું મોત નીપજ્યું હતું.