04 August, 2025 06:55 AM IST | Varanasi | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદીની ફાઈલ તસવીર
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ભારતની અર્થવ્યવસ્થાને `ડેડ ઈકોનૉમી` કહી હતી. તેમના આ કટાક્ષના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી કડક સંદેશ આપ્યો અને કહ્યું કે ભારત હવે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગે છે. પીએમ મોદીએ દેશવાસીઓને સ્વદેશી સ્વીકારવાનો સંકલ્પ લેવડાવ્યો અને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે દરેક ભારતીય, દરેક ખરીદારીમાં દેશહિતને પ્રાથમિકતા આપે.
વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું, હવે ભારત પણ દરેક વસ્તુને પારખવા માટે ફક્ત એક જ ત્રાજવાનો ઉપયોગ કરશે- તે છે, ભારતીય પરસેવાથી બનેલી વસ્તુઓ. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે જ્યારે દેશનો દરેક નાગરિક, દરેક દુકાનદાર અને દરેક ગ્રાહક આ મંત્રને સ્વીકારે કે અમે એ જ ખરીદીશું જે ભારતમાં બન્યું હશે, જેને ભારતીય હાથોએ ઘડ્યું હોય અને જેમાં આપણાં દેશનો પરસેવો હોય. વૈશ્વિક અસ્થિકતાના સમયમાં ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની દિશામાં આ માત્ર સરકારની નહીં પણ દરેક ભારતવાસી અને ભારતીયની જવાબદારી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે વિશ્વ અર્થતંત્ર અનેક ચિંતાઓમાંથી પસાર થઈ રહ્યું છે. અસ્થિરતાનું વાતાવરણ છે. આવી સ્થિતિમાં, વિશ્વના દેશો પોતાના હિત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ભારત પણ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે. તેથી, ભારતે પણ તેના આર્થિક હિતો પ્રત્યે સતર્ક રહેવું પડશે. ભારતે તેના ખેડૂતો, નાના ઉદ્યોગો, યુવાનો અને રોજગાર જેવા મુદ્દાઓને પણ પ્રાથમિકતા આપવી પડશે.
તેમણે વધુમાં કહ્યું કે, ભારતે હવે સતર્ક રહેવું પડશે. કંઈક ખરીદવા માટે ફક્ત એક જ સ્કેલ હશે - જેમાં ભારતીય નાગરિકનો પરસેવો વહ્યો હોય. આપણે ફક્ત તે જ વસ્તુઓ ખરીદીશું જે ભારતમાં બનેલી હોય. ભારતીય કૌશલ્યથી બનેલી હોય, ભારતીય હાથે બનેલી હોય. આ આપણા માટે વાસ્તવિક સ્વદેશી છે.
`દરેક નાગરિકે સ્વદેશીનો પ્રમોટર બનવું જોઈએ`
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંકલ્પને ફક્ત સરકાર કે રાજકીય પક્ષો પૂરતો મર્યાદિત રાખ્યો નહીં, પરંતુ તેને દરેક નાગરિકની જવાબદારી ગણાવી. તેમણે કહ્યું કે, સરકાર આ દિશામાં દરેક પ્રયાસ કરી રહી છે. પરંતુ દેશના નાગરિક તરીકે, આપણી કેટલીક જવાબદારીઓ છે. ફક્ત મોદી જ નહીં, ભારતના દરેક વ્યક્તિએ દરેક ક્ષણે આ કહેતા રહેવું જોઈએ - બીજાને કહેતા રહેવું જોઈએ. જે લોકો દેશનું ભલું ઇચ્છે છે, જે દેશને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માંગે છે, તેમણે પોતાનો ખચકાટ છોડીને દેશવાસીઓમાં દરેક ક્ષણે દેશના હિતમાં એક ભાવના જાગૃત કરવી પડશે - એ જ સંકલ્પ છે, આપણે સ્વદેશી અપનાવવી જોઈએ. મોદીએ સ્પષ્ટ કર્યું કે `વોકલ ફોર લોકલ` અને `મેક ઇન ઇન્ડિયા` ને હવે વ્યવહારિક જીવનનો ભાગ બનાવવો પડશે, ફક્ત એક સૂત્ર નહીં.
`વેપારીઓએ ફક્ત સ્વદેશી માલ વેચવો જોઈએ, આ દેશની સાચી સેવા છે`
વડાપ્રધાનએ દેશના વેપારીઓ અને ઉદ્યોગોને ખાસ વિનંતી કરી અને કહ્યું, હવે સમય આવી ગયો છે કે ફક્ત અને ફક્ત સ્વદેશી ઉત્પાદનો વેચવા જોઈએ. તેમણે કહ્યું, હું વ્યાપાર જગત સાથે સંકળાયેલા ભાઈઓને ચેતવણી આપું છું - હવે ફક્ત સ્વદેશી માલ આપણી દુકાનોમાં વેચવો જોઈએ. આ દેશની સાચી સેવા હશે. જ્યારે દરેક ઘરમાં નવો માલ આવશે, ત્યારે તે સ્વદેશી હોવો જોઈએ, આ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ.
પીએમ મોદીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વૈશ્વિક વેપાર દબાણ, રશિયા-યુક્રેન યુદ્ધ, ચીનથી થતી આયાત પર ચર્ચા અને અમેરિકાની ટેરિફ નીતિ જેવા મુદ્દાઓ આંતરરાષ્ટ્રીય મંચો પર ચર્ચાના કેન્દ્રમાં છે.