28 March, 2024 08:12 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની દિલ્હી લિકર પૉલિસી કેસમાં ધરપકડ બાદ અમેરિકાના વિદેશ વિભાગે કરેલી ટિપ્પણી વિશે ભારતે સ્પષ્ટ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે ‘આનાથી ખોટી પરંપરા શરૂ થશે. ભારતની કાનૂની પ્રક્રિયા અને ન્યાયપ્રણાલીમાં આ પ્રકારની નિવેદનબાજી યોગ્ય નથી.’
અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કેજરીવાલની ધરપકડ પર મંગળવારે કહ્યું હતું કે આ કેસમાં નિષ્પક્ષ, સમયબદ્ધ અને પારદર્શી કાનૂની પ્રક્રિયાનો આશરો લેવાશે એવી અમારી અપેક્ષા છે.
ગઈ કાલે ભારતના વિદેશમંત્રાલયે અમેરિકાની કાર્યવાહક ઉપપ્રમુખ ગ્લોરિયા બર્બેનાને તેડું મોકલ્યું હતું અને આ બેઠક ૪૦ મિનિટ સુધી ચાલી હતી. આ મુદ્દે વિદેશમંત્રાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું કે ‘આંતરરાષ્ટ્રીય બાબતોમાં અમે એવી અપેક્ષા કરીએ છીએ કે અમેરિકા બીજાની સંપ્રભુતા અને આંતરિક બાબતોનું સન્માન કરે. આ પ્રકારે નિવેદન કરવાં એ યોગ્ય પરંપરા નથી. આનાથી ખોટું ઉદાહરણ સ્થાપિત થઈ શકે છે. ભારતની કાનૂની પ્રક્રિયા એક સ્વતંત્ર ન્યાયપાલિકા પર આધારિત છે, જે વસ્તુનિષ્ઠ અને સમયસર પરિણામો માટે પ્રતિબદ્ધ છે. એના પર કોઈ આક્ષેપ લગાડવો અનુચિત છે.’
જર્મની બાદ અમેરિકાએ પણ કેજરીવાલના મુદ્દે નિવેદનબાજી કરી હતી, પણ બેઉ દેશને યોગ્ય જવાબ આપી દેવામાં આવ્યો છે.