દુષ્કર્મ બાદ ડૉક્ટર નમ્રતા ચંદાનીની હત્યા કરાઈ હતીઃ રિપોર્ટમાં ખુલાસો

08 November, 2019 12:32 PM IST  |  Islamabad

દુષ્કર્મ બાદ ડૉક્ટર નમ્રતા ચંદાનીની હત્યા કરાઈ હતીઃ રિપોર્ટમાં ખુલાસો

નમ્રતાકુમારી

પાકિસ્તાનમાં યુનિવર્સિટીની હોસ્ટેલમાં પોતાના રૂમમાંથી સપ્ટેમ્બરમાં રહસ્યમય પરિસ્થિતિઓમાંથી એક હિન્દુ મેડિકલ વિદ્યાર્થિની મૃત હાલતમાં મળી આવી હતી. યુવતીની અંતિમ ઑટોપ્સી રિપોર્ટમાંથી તેનું મોત કેવી રીતે થયું તે પાછળનું અસલી કારણ જાણવા મળી શક્યું છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે યુવતીની હત્યા અગાઉ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું.  નમ્રતાકુમારીનો મૃતદેહ ૧૬ સપ્ટેમ્બરના રોજ લરકાના સ્થિત શહીદ બેનઝીર ભુત્તો મેડિકલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં પંખા સાથે લટકેલી હાલતમાં મળ્યો હતો. તે બેચલર ઑફ ડેન્ટલ સર્જરીના અંતિમ વર્ષની વિદ્યાર્થિની હતી. અંતિમ ઑટોપ્સી રિપોર્ટ લરકાનાના ચંદકા મેડિકલ કૉલેજ હૉસ્પિટલ દ્વારા કરવામાં આવી છે. વૂમન મેડિકો-લીગલ ઑફિસર ડૉ. અમૃતાના જણાવ્યા અનુસાર નમ્રતાનું મૃત્યુ ગૂંગળામણના કારણે થયું હતું. એક ડીએનએ પરીક્ષણમાં મૃતકના શરીરમાં પુરુષ ડીએનએ હોવાની પુષ્ટિ થઈ છે. મૃતકના કપડાં પરથી વીર્યના અવશેષો મળી આવ્યા હતા. તેના પરથી સ્પષ્ટ થયું કે પીડિતા પર બળાત્કાર આચરવામાં આવ્યો હતો. 

pakistan Crime News