12 March, 2021 09:58 AM IST | Kolkata | Agency
કલકત્તાની હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી.
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કૉન્ગ્રેસનાં પ્રમુખ મમતા બૅનરજીએ બે દિવસોમાં ફરી વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં સક્રિય થવાનો નિર્ધાર જાહેર કર્યો હતો. ગયા બુધવારે નંદીગ્રામ મતવિસ્તારમાં સ્થાનિક મતદારોના જનસંપર્ક રોડ-શો દરમ્યાન અચાનક ઈજાગ્રસ્ત થયેલાં મમતા બૅનરજી એસએસકેએમ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.
હૉસ્પિટલમાંથી બહાર પાડેલી વિડિયો ક્લિપમાં મમતા બૅનરજીએ જણાવ્યું હતું કે ‘એપ્રિલમાં યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટેનો મારો પ્રચાર કાર્યક્રમ અટકવાનો નથી. હું બે દિવસોમાં ફરી પ્રચારમાં સક્રિય થઈશ. એ વખતે ચાલવાની ક્ષમતા નહીં હોય તો વ્હીલચૅર પર ફરીને પણ પક્ષના તમામ ઉમેદવારો માટે પ્રચાર ચાલુ રાખીશ.’
દરમ્યાન બીજેપીના પશ્ચિમ બંગાળ એકમે બુધવારે મમતા બૅનરજી નંદીગ્રામમાં ઈજાગ્રસ્ત થયાં એ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસની માગણી કરી હતી.