19 January, 2021 02:07 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કોરોના વાઇરસ વૅક્સિનેશન લીધા બાદ ૪૬ વર્ષના એક આરોગ્ય-કર્મચારીનું મૃત્યુ થયું હોવાનું અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું.
આરોગ્ય-કર્મચારી મહિપાલના પરિવારજનો તેમના મૃત્યુ માટે વૅક્સિનેશનને જવાબદાર ગણે છે, જ્યારે કે ઑથોરિટીના મતે ઓટોપ્સી રિપોર્ટ કહે છે કે હૃદય રોગને કારણે તેમનું નિધન થયું છે.
મહિપાલ મુરાદાબાદની સરકારી દીનદયાલ ઉપાધ્યાય હૉસ્પિટલમાં સર્જિકલ વૉર્ડમાં વૉર્ડ બૉય તરીકે ફરજ નિભાવતો હતો. તેના મૃત્યુ સંદર્ભે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું મુરાદાબાદના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ રાકેશ સિંહે જણાવ્યું હતું.
વૅક્સિનેશન પછી કેટલાક આરોગ્ય-કર્મચારીઓને તાવની અસર હેઠળ દાખલ કરવામાં આવ્યા હોવાની વાતનો સ્વીકાર કરતાં તેમણે મહિપાલના મૃત્યુ પાછળ વૅક્સિનેશનની આડઅસરને સદંતર નકારી કાઢતાં તેના મૃત્યુ માટે હૃદય રોગ જવાબદાર હોવાનું જણાવતાં ચીફ મેડિકલ ઑફિસર ડૉક્ટર મિલિંદ ચંદ્ર ગર્ગે કહ્યું હતું કે પોસ્ટમૉર્ટમના અહેવાલમાં મહિપાલનું હૃદય પહોળું થયેલું જણાયું હતું તેમ જ એમાં બ્લડ ક્લોટ્સ પણ હતા.
મહિપાલના દીકરા વિશાલે જણાવ્યું હતું કે ‘તેમને કફની તકલીફ હતી, પરંતુ વૅક્સિનેશન લીધા બાદ તેમને તાવ આવ્યો હતો તેમ જ શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. રવિવારે તેમને સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં રાત્રે તેમનું નિધન થયું હતું.’