15 December, 2019 12:57 PM IST | Mumbai Desk
મનાલીમાં હિમવર્ષા : ઉત્તર ભારતનાં રાજ્યોમાં શિયાળાની જમાવટ થઈ રહી છે. હિમાચલ પ્રદેશના ગિરિમથક અને લોકપ્રિય પર્યટનસ્થળ મનાલીમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસની આસપાસ લઘુતમ ઉષ્ણતામાન રહે છે. ગઈ કાલે મનાલીની સોલાંગ વૅલીમાં હિમવર્ષાને કારણે રસ્તા પર બરફના ઢગલા ખડકાતાં સહેલાણીઓનાં સેંકડો વાહન અધવચ્ચે અટકી ગયાં હતાં.
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિતનાં પહાડી રાજ્યોમાં છેલ્લા બે દિવસથી બરફવર્ષા થઈ રહી છે જેના લીધે આગામી અમુક દિવસોમાં ઠંડી વધવાની સાથે સવારે ગાઢ ધુમ્મસ છવાય એવી સંભાવના છે. શનિવારે પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્ય પ્રદેશ સહિત ઘણાં રાજ્યોમાં સવારે ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. આજે બિહાર, પૂર્વી ઉત્તર પ્રદેશ અને તામિલનાડુમાં વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગ પ્રમાણે રવિવારે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડમાં વરસાદ પડી શકે છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં રવિવાર અને સોમવારે સવારે ધુમ્મસ છવાયેલું રહેશે. બીજી તરફ દક્ષિણનાં રાજ્યોમાં આગામી દિવસોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે.
બરફવર્ષાના લીધે હિમાચલ પ્રદેશના મોટા ભાગના વિસ્તારોમાં પારો શૂન્ય ડિગ્રી આસપાસ પહોંચી ગયો હતો. ભારે વરસાદના લીધે નૅશનલ હાઇવે સહિત ૩૦૦ રોડ પર ટ્રાફિક બંધ થઈ ગયો હતો. હરિપુરધારમાં લગભગ ૨૦૦ ટૂરિસ્ટ ફસાઈ ગયા છે. તેઓ પંજાબ, હરિયાણા અને દિલ્હીના છે. તેમણે એક મંદિરમાં આશરો લીધો છે. પીવાના પાણીની સપ્લાય જામી ગઈ છે. ચંબામાં પ્રશાસને અલર્ટ જાહેર કરીને લોકોને ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ આપી છે. આ સમયે યોજાનારી દરેક પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે.
હિમાચલના મંડીના ઘણા વિસ્તારોમાં લગભગ ૪૦ વર્ષ બાદ બરફ પડ્યો છે. આ જિલ્લાના પ્રસિદ્ધ પરાશર તળાવમાં આ સીઝનની પહેલી બરફવર્ષા થઈ છે. એ સિવાય શિકારી દેવી, કમરુનાગ ઘાટી અને સરાજ વેલીમાં ૨-૩ ફુટ બરફ પડ્યો છે.