18 October, 2020 03:17 PM IST | Hyderabad | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: એએનઆઈ
દેશના દક્ષિણ ભાગમાં વરસાદનો કહેર સતત ચાલુ છે ત્યારે જનજીવન જોખમાયું છે. તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટકમાં ભારે વરસાદના કારણે સ્થિતિ ચિંતાજનક છે. હૈદરાબાદમાં રસ્તાઓ પર નદીની જેમ પાણી વહી રહ્યું છે. અનેક વાહનો તણાઈ ચૂક્યા છે અને સાથે 50 લોકોના મોત થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
હૈદરાબાદમાં ફરી ભારે વરસાદ પડ્યો. શનિવારે સાંજે 6 વાગ્યે વરસાદ શરૂ થયો રવિવાર સવાર સુધી ચાલુ રહ્યો. 13 ઓક્ટોબરની રાતે વરસાદ પછી જે સ્થિતિ સર્જાઈ, ફરી એકવાર શહેરમાં એવી જ સ્થિતિ પેદા થઈ. ઘણા વિસ્તારમાં રસ્તામાં પાણી ભરાયા છે. ટ્રાફિક જામ થઈ ગયો. કાર પાણીમાં વહેતી જોવા મળી. હાઈવે પર ગાડીઓ અટકી ગઈ હતી. શહેરનું બાલાનગર વિસ્તારનું સરોવર ઓવરફ્લો થઈ ગયું હોવાથી તેની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
હૈદરાબાદ-વારંગલ, હૈદરાબાદ-વિજયવાડા મુખ્ય રસ્તા પાણીમાં ડુબી ગયા, જેનાથી બન્ને રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ચત્રિનાકા વિસ્તારમાં પૂરના પાણીમાં ઘણી ગાડીઓ વહી ગઈ હતી. ફલકનુમા રેલવે બ્રિજ પર એક મોટો ખાડો પડી ગયો છે. ત્યારપછી પુલ પર ગાડીઓની અવર જવર અટકાવી દેવાઈ છે. ગગનપહાડ વિસ્તારમાં એક તળાવનું પાણી ઓવરફ્લો થઈને આસપાસના ઘરોમાં ઘુસી ગયું છે. આ વિસ્તારોમાં રાહત ટીમ લોકોને તેમના ઘરોની બહાર કાઢવામાં મદદ કરી રહી છે.
રાજ્ય સરકારે 15 ઓક્ટોબરે કહ્યું હતું કે, ભારે વરસાદના કારણે અત્યાર સુધી 50 લોકોના મોત થયા છે. રાજ્ય સરકારને પૂર અને વરસાદના કારણે લગભગ 5,000 કરોડનું નુકસાન થયું છે. રાજ્ય સરકાર વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં રાહત કાર્ય કરી રહી છે. સાથે જ હવામાન વિભાગે કહ્યું કે, વરસાદથી રવિવારે રાહત મળવાની આશા છે. રવિવારે ઘણા વિસ્તારોમાં એક અથવા બે વખત હવળાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પણ રવવિવારે પણ વરસાદ ચાલુ જ છે.
આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન વાઈએસ જગન મોહન રેડ્ડીએ શનિવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહને પત્ર લખીને રાજ્યમાં થયેલા ભારે વરસાદ અને પૂર બાદ કામગીરી અને ફરીથી જનજીવન શરૂ કરવા માટે તત્કાલ રીતે 2250 કરોડ રૂપિયાની મદદ માંગી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં 9થી 13 ઓક્ટોબર સુધીના ભારે વરસાદથી જનજીવન અને પૂરના કારણે લગભગ 4,450 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સડક અને વિજળીના થાંભલાઓને ભારે નુકસાન થયું છે તો અન્ય તરફ ખેડૂતોનો પાક પણ બરબાદ થયો છે. વરસાદમાં અહીં 14 લોકોના જીવ ગયા છે.