29 December, 2012 07:38 AM IST |
તાતા ગ્રુપમાં ૫૦ વર્ષ સુધી કામ કર્યા બાદ તથા ૨૧ વર્ષ સુધી સફળતાપૂર્વક આ ગ્રુપનું સુકાન સંભાળ્યાં પછી નિવૃત્ત થયેલા રતન તાતાએ કહ્યું હતું કે અત્યારના પ્રતિકૂળ વાતાવરણ છતાં પણ ભારતના વિકાસની ગતિ ફરી તેજ થશે. ગઈ કાલે ૭૫ વર્ષના થયેલા રતન તાતા પર ગઈ કાલે શુભેચ્છાઓનો વરસાદ થયો હતો. કંપનીના તમામ વર્ગના કર્મચારીઓથી લઈને ઉચ્ચ અધિકારીઓએ તેમને શુભેચ્છા પાઠવી હતી. એટલું જ નહીં, અન્ય ટોચના ઉદ્યોગપતિઓએ પણ તેમને શુભેચ્છા પાઠવતાં તેમના યોગદાનને બિરદાવ્યું હતું. ગઈ કાલે તમામ કર્મચારીઓને પાઠવેલા પત્રમાં તેમણે સતત સર્પોટ, કટિબદ્ધતા અને સમર્પણ આપતા રહેવાની અપીલ કરી હતી. રતન તાતાએ ૧૯૯૧માં જેઆરડી તાતા પાસેથી તાતા ગ્રુપનું સુકાન સંભાળ્યું હતું. ગઈ કાલે ૪૪ વર્ષના સાઇરસ મિસ્ત્રીએ તેમની પાસેથી તાતા ગ્રુપનું સુકાન સંભાળ્યું હતું.