14 August, 2020 12:39 PM IST | Mumbai Desk | Agencies
અશોક ગેહલોત, સચિન પાઇલટ
રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાઇલટે બળવો કર્યા પછી પ્રથમ વખત ગુરુવારે મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ હાથ મિલાવ્યો અને સ્મિત રેલાવ્યું. જોકે તેઓ એકબીજાને ભેટ્યા ન હતા. આ દરમિયાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે ફરીથી કહ્યું છે કે અમે ફરગેટ એન્ડ ફરગિવ, પરસ્પર ભૂલો, માફ કરો અને આગળ વધોની ભાવનાની સાથે ડેમોક્રેસીને બચાવવાની લડાઈમાં જોડાયા છે. કોંગ્રેસની લડાઈ તો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની લીડરશીપમાં ડેમોક્રેસીને બચાવવાની છે. છેલ્લા એક મહિનાની અંદર કોંગ્રેસમાં જે પણ ખેંચતાણ થઈ છે, તેને દેશના હિતમાં, રાજ્યના હિતમાં, રાજ્યમાં રહેતા લોકોના હિતામાં અને લોકશાહીના હિતમાં ભૂલવી જોઈએ.
ગેહલોત આ બોલ્યા ત્યારે પાઇલટ ત્યાં જ હાજર હતા.
રાજસ્થાનમાં આજે બીજેપી અશોક ગેહલોત સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે. આજથી રાજસ્થાન વિધાનસભા સત્ર શરૂ થઈ રહ્યું છે. આ અગાઉ બીજેપીના ધારાસભ્યોની બેઠક થઈ હતી. આ બેઠકમાં આજે રાજસ્થાનમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કરાયો હતો. આ બેઠકમાં ધારાસભ્યો પાસેથી પ્રસ્તાવને લઈ કરાર પણ કરાયો છે.