30 July, 2026 12:13 PM IST | Odisha | Gujarati Mid-day Correspondent
ઓડિશામાં બાલાસોર જિલ્લાના રેમુણા વિસ્તારમાં ગઈ કાલે પૂરનું પાણી ઘૂસી જતાં કારનો એક શોરૂમ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
ઉત્તર ઓડિશામાં સતત વરસાદને કારણે પૂરની સ્થિતિ વધુ ગંભીર બની છે. પાંચ જિલ્લાઓમાં ૧.૨૫ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે, જ્યારે સાવચેતીના ભાગરૂપે ૧૦ જિલ્લાની શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવામાં આવ્યાં છે. રાજ્યના અનેક વિસ્તારોમાં નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી હોવાથી અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયું હોવાથી ખેતીની જમીનને મોટેપાયે નુકસાન થયું છે.
નાગાલૅન્ડના તમામ ૧૭ જિલ્લામાં પૂરનો પ્રકોપઃ ૧૧નાં મોત, ૨૮,૦૦૦થી વધુ પરિવારો પ્રભાવિત
નાગાલૅન્ડમાં સતત વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાએ તબાહી મચાવી દીધી છે અને એને કારણે અત્યાર સુધીમાં ૧૧ લોકોનાં મોત થયા છે, જ્યારે ૨૮,૨૬૪ પરિવાર અને ૨૮૦ ગામો અસરગ્રસ્ત થયાં છે. ૧૭૪૬ મકાનોને નુકસાન પહોંચ્યું છે, જેમાંથી ૮૪૨ મકાન સંપૂર્ણપણે નાશ પામ્યાં છે. ભયંકર પૂરમાં ૧૫૯૩ એકર ખેતીની જમીન પણ બરબાદ થઈ છે.
આસામના ૨૫ જિલ્લાઓમાં પૂરનો પ્રકોપ યથાવત્; મરણાંક ૭૫ થયો, ૮ લોકો લાપતા
આસામમાં સતત વરસતા ધોધમાર વરસાદને કારણે પરિસ્થિતિ હજી પણ ગંભીર છે. પૂરની અસર રાજ્યના ૨૫ જિલ્લાઓનાં ૨૧૮૫ ગામો સુધી પહોંચી છે અને હાલમાં ૧૧.૪ લાખથી વધુ લોકો આ આપત્તિથી પ્રભાવિત થયા છે. પૂરને કારણે ૧૩૬૮ મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યાં છે. ૪૫,૩૪૧ હેક્ટરથી વધુ ખેતીની જમીન હજી પણ પાણીમાં ગરકાવ છે.