ઉત્તરાખંડમાં યમુના નદી પર બંધાયો પહેલો ઘાટ

13 September, 2026 09:25 AM IST  |  Uttarakhand | Gujarati Mid-day Correspondent

૧૭ સપ્ટેમ્બરે વડા પ્રધાનના જન્મદિવસે જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે

ઉત્તરાખંડનો પહેલો યમુના ઘાટ

ઉત્તરાખંડમાં યમુના નદી પરનો પહેલો યમુના ઘાટ દેહરાદૂનના કાલસીમાં હરિપુર ખાતે બાંધવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી ૧૭ સપ્ટેમ્બરે વિશ્વકર્મા દિવસ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૭૬મી વર્ષગાંઠે આ ઘાટનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં સંતસમુદાયની હાજરીમાં માતા યમુનાની પ્રથમ પૂજા અને આરતી કરવામાં આવશે. આ આરતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે કરવામાં આવશે.
હરિદ્વારમાં ગંગા નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશે છે તેથી આ શહેરની આગવી ધાર્મિક ઓળખ ઊભી કરી છે. એવી જ રીતે હરિપુરને યમુનાનાં મેદાનોમાં પ્રવેશવાના પ્રથમ સ્થાન તરીકે અને યમુનાદ્વાર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. બે વર્ષ પહેલાં મસૂરી દેહરાદૂન ડેવલપમેન્ટ ઑથોરિટીએ અહીં ઘાટનું નિર્માણ શરૂ કર્યું હતું. એનો શિલાન્યાસ મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ કર્યો હતો. 
આ નદીને દેવી યમુના તરીકે પૂજવામાં આવે છે અને હિન્દુ પૌરાણિક કથાઓની અનેક વાર્તાઓ સાથે ગાઢ રીતે જોડાયેલી છે. માન્યતા અનુસાર યમુના સૂર્યદેવની પુત્રી અને મૃત્યુના દેવતા યમની બહેન છે. તેથી ભક્તો આ નદીને પવિત્ર માને છે અને એના કિનારે પ્રાર્થના તથા ધાર્મિક વિધિઓ કરે છે. ઉત્તરાખંડમાં યમુનોત્રીમાંથી ઉદ્ગમ પામતી આ નદી પ્રયાગરાજમાં ગંગા નદીમાં મળે છે અને ત્યાં ગંગા, યમુના અને ગુપ્ત સરસ્વતીનો ત્રિવેણી સંગમ થાય છે.

national news india uttarakhand haridwar indian government