21 November, 2020 09:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્યઃ એએનઆઈ
ગ્વાલિયરની સૌથી મોટી હોસ્પિટલ જયારોગ્યના કોવિડ કેર સેન્ટરના ICUમાં શનિવારે બપોરે અચાનક આગ લાગી હતી. અહીં 9 દર્દીઓ દાખલ હતા. હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફની બહાદૂરીથી તમામ દર્દીઓને બચાવી લેવાયા છે. બપોરે 2 વાગ્યે આગની સૂચના મળતા જ બે મહિલા ડોક્ટર તાત્કાલિક વોર્ડમાં પહોંચી ગઈ હતી.
દૈનિક ભાસ્કરમાં આવેલા અહેવાલ પ્રમાણે, ડોક્ટર નીલિમા સિંહ અને ડો. નીલિમા ટંડનને PPE કીટ પહેરવાનો સમય ન મળતા, PPE વગરજ બચાવ કામગીરીમાં લાગી ગઈ હતી. સાથે બીજા ડોક્ટરો અને સ્ટાફને પણ બોલાવાયા. ત્યાં દાખલ 9 દર્દી પૈકી 2 દર્દી નજીવા પ્રમાણમાં દાઝી ગયા હતા. તમામ દર્દીને અન્યત્ર શિફ્ટ કરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડે આગ પર નિયંત્રણ મેળવી લીધો છે.
આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ છે. આગ લાગવાને લીધે ICUમાં ધૂમાડાના ગોટા ફેલાઈ ગયા હતા. ICUમાં દાખલ તમામ દર્દી ઓક્સિજન સપોર્ટ પર છે. દર્દીના પરિવાર સુરક્ષાને લઈ મુશ્કેલી ધરાવે છે.
ડૉક્ટર નીલિમા સિંહે જણાવ્યું હતું કે, બૂમો સાંભળીને અમે ચોથા માળે પહોંચ્યા હતા. બધી બાજુએ ધુમાડો હતો. અમે બધાને એલર્ટ કર્યા અને દર્દીઓને બહાર નિકાળવાના કામમાં લાગી ગયા. અમે એ વિચારતા હતા કે બચાવવામાં વાર ન લાગી જાય. અમે વિચાર્યું કે PPE પહેરીશું તો સમય લાગી જશે, આથી PPE વગરજ બચાવ કામગીરી કરી.