06 December, 2021 06:04 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ઓમિક્રોન. તસવીર/એએફપી
કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો ખતરો ફરી મંડરાઈ રહ્યો છે, આવી સ્થિતિમાં ઘણા દેશો તેમના નાગરિકોને બૂસ્ટર ડોઝ આપી રહ્યા છે, પરંતુ ભારતમાં હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ દરમિયાન એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહેવાલમાં જાણવા મળ્યું છે કે ભારતના ઘણા લોકો અન્ય દેશોમાં જઈને બૂસ્ટર ડોઝ લઈ રહ્યા છે. આ લોકોમાં મોટા ઔદ્યોગિક ગૃહો અથવા મોટી કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતા લોકોનો સમાવેશ છે.
ઉદ્યોગના નેતાઓનું કહેવું છે કે તેઓને ખબર છે કે તેમની કંપનીના ઘણા કર્મચારીઓ બૂસ્ટર ડોઝ મેળવવા માટે ભારતની બહાર પ્રવાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે લોકો તેમની રોગપ્રતિકારક શક્તિ વિશે ચિંતિત છે, તેથી તેઓ તબીબી સલાહ બાદ વિદેશ પ્રવાસ કરી રહ્યા છે. એક મોટી કંપનીના ટોચના એક્ઝિક્યુટિવે કહ્યું કે તેમના ઘણા કર્મચારીઓ બૂસ્ટર ડોઝ માટે યુએસ ગયા છે.
ભારતના લોકો જે બૂસ્ટર ડોઝ માટે વિદેશ પ્રવાસ કરી રહ્યા છે. તેમના પ્રિય દેશો બ્રિટન અને અમેરિકા છે. તે જ સમયે, ફાઈઝરના વધારાના ડોઝ લેનારાઓ પણ દુબઈ જઈ રહ્યા છે. એક કંપનીના સીઈઓએ કહ્યું કે ભારતમાં બૂસ્ટર ડોઝ પર હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી, મને ખબર નથી કે તે કાયદેસર છે કે ગેરકાયદે છે, પરંતુ લોકો સ્વાસ્થ્ય વિશે ચિંતિત છે અને પોતાને બચાવવા માગે છે, તેઓ કોઈ જોખમ લેવા માગતા નથી.
જોકે, ભારતમાં બૂસ્ટર ડોઝ પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ ટૂંક સમયમાં તેના પર નિર્ણય લેવામાં આવી શકે છે. કોરોના રસીના વધારાના ડોઝને લઈને ઘણી બેઠકો પણ યોજાઈ છે. વૈજ્ઞાનિકોએ તેની જરૂરિયાત પણ જણાવી છે, આવી સ્થિતિમાં ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર બૂસ્ટર ડોઝને લઈને માર્ગદર્શિકા જાહેર કરી શકે છે. શક્ય છે કે પ્રથમ તબક્કામાં, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવે. તે જ સમયે, સીરમ ઇન્સ્ટિટ્યૂટના અદાર પૂનાવાલાએ પણ કહ્યું છે કે તેમની પાસે બૂસ્ટર ડોઝ માટે પહેલાથી જ 1.5 કરોડથી વધુ કોવિશિલ્ડ ડોઝ આરક્ષિત છે.